‘ભગવાન કલ્કિના અવતાર’ સરકારી અધિકારીને ફટકારી નોટિસ

વડોદરા-ભગવાન કલ્કિનો અવતાર હોવાનો દાવો કરનાર સરકારી અધિકારી રમેશચંદ્ર ફેફરને રાજ્ય સરકારે નોટિસ પાઠવી છે. નોટિસમાં ફેફરને તેમની ગેરજવાબદાર વર્તણૂક માટે સ્પષ્ટતા કરવા જણાવાયું છે.

સરદાર સરોવર નિગમના અધિકારી રમેશચંદ્ર ફેફરને ગુજરાત સરકારે નોટિસ ફટકારી છે, તે એ જ અધિકારી છે કે જેમણે થોડા સમય પહેલાં દાવો કર્યો હતો કે તેઓ ભગવાન વિષ્ણુના દસમા અવતાર કલ્કિ ભગવાનનો અવતાર છે અને તેઓ પોતાની સાધના થકી સંકટોથી બચાવી કરી રહ્યાં છે.

રમેશચંદ્ર ફેફર સરદાર સરોવર પુનઃવસાહત વિભાગમાં એન્જીનિયર હતાં પરંતુ તેઓ નોકરી પર હાજર ન રહેતાં હતાં અને સતત આઠ માસમાં ફક્ત 16 દિવસ હાજર રહેવાથી તેમને ફરજ પર હાજર નહીં થવા અંગે એસએસપીએ કમિશનર દ્વારા સ્પષ્ટતા માગવામાં આવી હતી. જેમાં તેમણે  જણાવ્યું હતું કે હું ઓફિસમાં બેસીને સમય ન બગાડી શકું હું ઘેર રહીને સાધના કરું છું જેનાથી રાજ્ય, દેશ અને દુનિયા સંકટોથી બચી રહી છે.

ફેફરને તેમના ગેરજવાબદાર વર્તન અંગે જવાબ આપવા માટે નોટિસમાં જણાવ્યું છે. એસએસપીએએ ગુજરાત સરકારને રીપોર્ટ કર્યો હતો જેને લઇને સરકારે તેમને નોટિસ પાઠવી છે. ફેફરના જવાબને ધ્યાનમાં લઇને સરકાર આગળ પગલાં લેવા અંગે વિચાર કરી કાર્યવાહી કરશે.