મેડિકલ બિલના વિરોધમાં થયેલી ડૉક્ટરોની હડતાળ સમેટાઇ ગઇ

અમદાવાદ-મેડિકલ બિલના વિરોધમાં સવારે છ કલાકે શરુ થયેલી હડતાળ સમેટાઇ ગઇ છે. નાયબ સીએમ નિતીન પટેલે જણાવ્યું હતું કે તબીબોની માગણી અંગે કેન્દ્રીય સ્ટેન્ડિંગ કમિટીમાં મામલો જતાં હડતાળ સમેટાઇ છે.

આજે દેશભરના તબીબોએ હડતાળ પાડી છે. તેમાં ગુજરાતના ડૉક્ટરો પણ જોડાયાં હતાં.. ગુજરાતના 25,000થી વધુ ડૉકટરો હડતાળમાં જોડાયાં હતાં, જેમાં મેડિકલના 10 હજારથી વધુ વિદ્યાર્થીઓ પણ હડતાળમાં શામેલ થયાં હતાં. ગંભીર દર્દીઓ માટે જોકે ખાનગી હોસ્પિટલોમાં ઈમરજન્સી સેવા ચાલુ રખાઈ હતી.હડતાળ સમેટાઇ જતાં હેરાનગતિ ભોગવી રહેલાં દર્દીઓ અને તેમના સ્વજનોએ રાહતનો શ્વાસ લીધો છે.ડૉક્ટરોને કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવી રહેલા નેશનલ મેડિકલ બિલ-એનએમસી સામે વિરોધ છે. તો સામે પક્ષે સરકારનું જણાવવું છે કે ડૉક્ટરોની માગણી સંદર્ભે અળગઅલગ સ્તર પર ઘણીવાર ચર્ચા ઇ ચૂકી છે અને સહમતી મળ્યાં બાદ જ સરકાર બિલ લાવી રહી છે. એનએમસી બિલનો દેતુ તબીબી શિક્ષણને આગળ વધારવું, ભ્રષ્ટાચાર દૂર કરવો, ડૉક્ટરોની સંખ્યા વધારવાનો બતાવવામાં આવી રહ્યો છે.

દેશભરના ત્રણ લાખથી વધુ સરકારી-ખાનગી ડૉકટરોએ હડતાળને બ્લેક ડે તરીકે ગણાવ્યો છે.આજે સંસદમાં રજૂ થનારા એનએમસી બિલના વિરોધમાં ઇન્ડિયન મેડિકલ કમિશન દ્વારા હડતાળનું એલાન અપાયું હતું. સરકારી દવાખાનાંઓમાં આ કારણે ઓપીડી ઠપ છે. આઈએમએનું જણાવવું છે કે જો બિલ પાસ થશે તો તે ઇતિહાસનો કાળો દિવસ હશે.આ બિલથી સારવાર મોંઘી થશે અને ભ્રષ્ટાચારને ઉત્તેજન મળશે. બિલમાં કરાયેલી કેટલીક જોગવાઇઓનો વિરોધ છે તેમાં  ખાનગી મેડિકલ કોલેજોમાં 15 ટકાના બદલે 60 ટકા બેઠકોની ફી મેનેજમેન્ટને નક્કી કરવાનો અધિકાર આપવામાં આવનાર છે. એમબીબીએસ કર્યાં પછી પ્રેક્ટિસ માટે એક વધુ પરીક્ષાને અનિવાર્ય બનાવાઇ છે. ઉપરાંત એમસીઆઇની જગ્યાએ એક રાષ્ટ્રીય આયુર્વિજ્ઞાન આયોગ બનાવવાનું પ્રાવધાન પણ કરવામાં આવ્યું છે, જેનો ભારે વિરોધ થઇ રહ્યો છે.