પરપ્રાંતીયો મામલે નીતિન પટેલે રાહુલ ગાંધીને આપ્યો જવાબ

ગાંધીનગરઃ ગુજરાતમાં પરપ્રાંતિઓ પર થયેલા હુમલા અંગે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે ઠાકોર સેનાના પ્રમુખ અલ્પેશ ઠાકોર પર ગંભીર આક્ષેપો કર્યા હતા. નીતિન પટેલે જણાવ્યું કે ફક્ત ગુજરાતની જનતા જ નહી પરંતુ કોંગ્રેસના તમામ નેતાઓ પણ જાણે છે કે પરપ્રાંતિઓ પર કરવામાં આવેલા હુમલાઓ પાછળ કયા સંગઠન અને તેના પ્રમુખનો હાથ છે.

નીતિન પટેલે જણાવ્યું કે હું રાહુલ ગાંધીને એટલું કહીશ કે તમે અહીના આગેવાનો, પ્રદેશ પ્રમુખ અને વિપક્ષના નેતાને પૂછો કે કોના દ્વારા આ કરવામાં આવ્યું છે. નીતિન પટેલે રાહુલ ગાંધી પર વધુ આક્ષેપ કરતા જણાવ્યું કે તમે જેની સાથે ફોન પર સીધી વાત કરો છો તેની સામે પગલા લેવાની વાત કરો. નીતિન પટેલે જણાવ્યું કે અહમદ પટેલ અને શક્તિસિંહ ગોહિલે નિવેદનો આપીને આખી વાતને બીજા માર્ગે દોરવાનો પ્રયત્ન કર્યો છે. સાચું કારણ કોંગ્રેસના નેતાઓ જાણે જ છે.

નીતિન પટેલે જણાવ્યું કે જે લોકો ગુજરાત છોડીને જઈ રહ્યા છે તેમને પૂછો કે કયા કારણે તેમણે ગુજરાત છોડીને જવું પડી રહ્યું છે આ લોકોના જવાબ પરથી દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. રાહુલ ગાંધી, શક્તિસિંહ, અહમદ પટેલ સહિત કોંગ્રેસના નેતાઓને બધી ખબર છે કે આ કૃત્ય કોણે કર્યું છે. રાહુલ ગાંધીએ ગુજરાતના અનેક નેતાઓને ખૂણામાં મૂકીને અલ્પેશ ઠાકોરને બિહારના સહપ્રભારી બનાવ્યા છે. તેમને આ પદ પરથી હટાવવા જોઈએ.