સરકારની ખેડૂતોને મોટી ભેટઃ રથયાત્રાના દિવસથી ખેતી માટે નર્મદાનું પાણી છોડાશે

ગાંધીનગરઃ આજે ગુજરાતના નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલે રાજ્યનું બજેટ રજૂ કર્યું છે. બજેટ રજૂ કરતાં પહેલાં તેમણે એક મોટી જાહેરાત કરી છે. નિતીન પટેલે જણાવ્યું કે આવતીકાલે રથયાત્રાથી નર્મદા કેનાલમાં પાણી છોડવામાં આવશે. નર્મદા ડેમમાં જળસપાટીમાં વધારો થતાં સરકારે ખેડૂતોના હિતમાં આ મહત્વનો નિર્ણય કર્યો છે.

મોટી જાહેરાત કરતા નાયબ મુખ્યપ્રધાને કહ્યું કે, સરદાર સરોવર ડેમમાં અત્યારે લગભગ 119 મીટર કરતા વધુ પાણી આવ્યું છે. ગુજરાતમાં જુદા જુદા સ્થળોએ છૂટો છવાયો વરસાદ થયો છે. ખેડૂતોની વાવણીની સીઝન ચાલુ થઈ છે. તેથી જે વિસ્તારોમાં વરસાદ હજી બરાબર વરસ્યો નથી ત્યાં બાકીના વિસ્તારમાં ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા છે. તેથી ખેડૂતોની લાગણી અને માંગણીને ધ્યાનમાં રાખીને રથયાત્રા એટલે કે અષાઢી બીજના દિવસે નર્મદા બંધના દરવાજા ખોલી દેવાશે અને કેનાલમાં પાણી વહાવવાની શરૂઆત કરવામાં આવશે.

તબક્કાવાર જ્યાં જ્યાં ખેડૂતોને વાવણી માટે તથા વાવેતર માટે જ્યા પાણીની જરૂર છે, ત્યાં પાણી પહોંચાડાશે. પહેલા મુખ્ય કેનાલમાં પાણી વહાવવામાં આવશે. બાદમાં બ્રાન્ચ કેન્લમાં પાણી લઈ જવાશે. પછી ખેડૂતોના ખેતર સુધી પાણી જશે. આમ, જે વિસ્તારોમાં વરસાદ ઓછો છે, ત્યાં પાણી પહોંચાડવામાં આવશે.

તેમણે કહ્યું કે, નર્મદા વિસ્તારના કમાન્ડમાં આવતા ખેડૂતો માટે આ મહત્વની જાહેરાત કરાઈ હતી. ઘણા ખેડૂતોના મને ફોન આવતા હતા. અનેક ધારાસભ્યો તથા કિસાન સંઘની પણ રજૂઆતોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે. હાલ નર્મદા ડેમમાં પાણી મર્યાદિત છે. હજી ઉપરવાસમાં વરસાદ થયો નથી. નવુ પાણી લગભગ 4000 ક્યુસેકથી માંડીને 10 હજાર ક્યૂસેક રોજ એવરેજ આવે છે. જેમાઁથી 4000 ક્યૂસેક પીવાના પાણી માટે ઉપયોગમાં લેવાય છે. ત્યારે આ પાણીનો કરકસરભર્યો ઉપયોગ થાય તે જરૂરી છે.