31 ઓક્ટોબરે કાયદો અને વ્યવસ્થા જાળવવા મહત્વનો નિર્ણય

ગાંધીનગર- આગામી 31મી ઓક્ટોબરે કેવડીયા ખાતે નિર્માણ પામેલ સ્ટેચ્યુ ઓફ યુનિટીનું વડાપ્રધાન મોદી લોકાર્પણ કરશે. આ સ્થળ વિશ્વ કક્ષાનું પ્રવાસન ધામ બની રહેશે ત્યારે પ્રવાસીઓના ધસારાને પહોંચી વળવા અને ટ્રાફિકના સુચારુ નિયમન માટે કેવડિયા ખાતે નવુ ટ્રાફિક પોલીસ સ્ટેશન કાર્યરત કરવામાં આવશે. સાથે સાથે કેવડિયા ખાતે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિને વધુ સંપન્ન બને તે માટે કેવડિયા પોલીસ સ્ટેશનની પી.એસ.આઈ.ની જગ્યા પી.આઈ. કક્ષામાં અપગ્રેડ કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.ગૃહ રાજયપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું કે, ભારતની એકતા અને અખંડિતતાના પ્રતિકસમા આ પ્રોજેક્ટ લોકાર્પણના કાર્યક્રમ ઉપરાંત સરદાર સરોવર ડેમ, સૂચિત વેલી ઓફ ફ્લાવરની મુલાકાતે દેશ વિદેશથી મહાનુભાવો, વી.આઈ.પી., વી.વી.આઈ.પી લોકો સહિત મોટી સંખ્યામાં જન મેદની આવનાર છે. તેમજ આવનારા દિવસોમાં ૧૫ હજાર જેટલાં પ્રવાસીઓ પ્રતિ દિન આ સ્મારકની મુલાકાતે આવવાની સંભાવના હોઈ, આ મહત્વનો નિર્ણય રાજય સરકારે કર્યો છે.

નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે નવું ટ્રાફિક પોલીસ સ્ટેશન કાર્યરત કરવામાં આવશે, જેમાં ૮૫ જગ્યાઓ મંજૂર કરાઈ છે. તેમાં એક બિન હથિયારી પોલીસ ઈન્સ્પેક્ટર, બે બિન હથિયારી પોલીસ સબ ઈન્સ્પેકટર, ૧૦ બિન હથિયારી એ.એસ.આઈ., ૧૫ બિન હથિયારી હેડ કોન્સ્ટેબલ, ૩૯ બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ,  ૩ હથિયારી એ.એસ.આઈ., ૧૫ હથિયારી કોન્સ્ટેબલનો સમાવેશ થાય છે. તેમજ પ્રવાસીઓના ધસારાને ધ્યાનમાં રાખતા ટ્રાફિક નિયમન હેતુસર ૪૬ ટ્રાફિક બ્રિગેડના કર્મચારીઓ માટેનું માળખું રાજય સરકાર દ્વારા નવુ મંજૂર કરાયું છે.

રાજયમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિને સંગીન બનાવવા માટે વિવિધ સંવર્ગની ૧૧૨૯ નવી જગાઓ ઉભી કરવાનો નિર્ણય કર્યો છે. જેના ભાગરૂપે કેવડિયા ખાતે પોલીસ સ્ટેશનની પોલીસ સબ ઈન્સ્પેકટરની જગ્યાએ પોલીસ ઈન્સ્પેકટરમાં અપગ્રેડ કરવામાં આવશે જેના થકી કેવડિયા ખાતે પ્રવાસીઓના ધસારા સમયે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ સુદ્રઢ બનશે.