રાજકોટવાસીઓને બમણી ખુશી, 2500 એકરમાં નવું ગ્રીન ફિલ્ડ એરપોર્ટ બનશે

રાજકોટ- નવા વર્ષની શરુઆતમાં જ પહેલાં AIIMS  અને હવે નવા ગ્રીન ફિલ્ડ એરપોર્ટની જાહેરાતને પગલે રાજકોટવાસીઓની ખુશી બમણી થઈ ગઈ છે. આજે મુખ્યપ્રધાન વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં રાજકોટ ખાતે નવા ગ્રીનફિલ્ડ એરપોર્ટના નિર્માણ માટેના સમજૂતી કરાર (એમ.ઓ.યુ.) કરવામાં આવ્યાં હતાં. કેન્દ્ર સરકારના એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને ગુજરાતના નાગરિક ઉડ્ડયન વિભાગ વચ્ચે ગાંધીનગરમાં આ એમઓયુ સંપન્ન થયાં હતાં.

પ્રતીકાત્મક તસવીર

આ સમજૂતી કરાર મુજબ રાજકોટના હિરાસર નજીક નવું ગ્રીનફિલ્ડ એરપોર્ટ 3040 મીટર લાંબા અને 45 મીટર પહોળા રન-વે સાથે 2500 એકર વિસ્તારમાં નિર્માણ પામશે.

આ નવું ગ્રીનફિલ્ડ એરપોર્ટ તૈયાર થતાં ૨૮૦થી વધુ મુસાફરોની વહન ક્ષમતા સાથે તીવ્ર ગતિ 5,375 કિલોમીટરના વેગથી ઉડ્ડયન કરી શકે તેવા ‘સી’ પ્રકારના એરબસ [એ 320-200], બોઇંગ [બી 737-900] જેવાં વિમાનોની સુવિધા રાજકોટ મહાનગર સહિત સૌરાષ્ટ્રને મળતી થશે.

આ સૂચિત એરપોર્ટ ઉપર સમાંતર બે ટેક્સી-વે રહેશે. તથા એપ્રન, રેપીડ એક્ઝીટ ટેક્સી ટ્રેક, ટર્મિનલ બિલ્ડીંગ, કાર્ગો, એમઆરઓ/હેન્ગર્સની સુવિધા પણ ઉપલબ્ધ થશે.

આ એરપોર્ટ ૧૦૩૩ હેકટર જેટલા વિસ્તારમાં નિર્માણ થવાનું છે, તેમાં 1500 એકર જમીન એરપોર્ટ ડેવલપમેન્ટ માટે, 250 એકરનો ગ્રીન ઝોન હશે, 524 એકર સીટી સાઈડ પેસેંજર સુવિધા માટે અને એવીએશન પાર્ક માટે 250 એકર જમીનનો ઉપયોગ થનાર છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે, આ એરપોર્ટના નિર્માણમાં રૂ.રપ૦૦ કરોડનો ખર્ચ તબક્કા વાર એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા કરશે અને એરપોર્ટ માટેની જમીન રાજ્ય સરકાર ઉપલબ્ધ કરાવશે.

આ સમજૂતી કરાર ઉપર એરપોર્ટ ઓથોરીટી ઓફ ઇન્ડિયાના રાજકોટ એરપોર્ટના નિયામક બસબકાંતી દાસ અને ગુજરાતના સરકારના સિવિલ એવીએશન નિયામક કેપ્ટન અજય ચૌહાણે હસ્તાક્ષર કર્યા હતાં.