નર્મદા આધારિત ઉનાળુ પાકનું વાવેતર ન કરવુંઃ સરકારની અપીલ

ગાંધીનગર- ચાલુ વર્ષે મધ્યપ્રદેશમાં ઓછો વરસાદ થવાને કારણે નર્મદા સ્ત્રાવ વિસ્તારમાં છેલ્લાં ૧૫ વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે નર્મદા સ્ત્રાવ ક્ષેત્રમાં આવેલ બંધોમાં દર વર્ષ કરતાં 45% ઓછો પાણીનો સંગ્રહ થયો હોઇ, ખેડૂતોને સિંચાઇ માટે 15 માર્ચ, 2018 સુધી પાણી પુરું પાડવામાં આવશે. ત્યારબાદ ખેડૂતોએ ઉનાળુ પાકનું વાવેતર ન કરવા અથવા પોતાની પાસે કોઇ અન્ય સ્ત્રોત હોય તો વાવેતર કરવા નર્મદા નિગમ દ્વારા જણાવાયું છે.નર્મદા નિગમ દ્વારા વધુમાં જણાવ્યા અનુસાર આ સાલ મર્યાદિત પાણી ઉપલબ્ધ હોઇ, નર્મદા યોજનામાં હાલ સંગ્રહ થયેલ પાણીનો ઉપયોગ રાજ્યના કરોડો નાગરિકોને પીવાનું પાણી પુરૂ પાડવામાં આવતું હોઇ, આ નિર્ણય કરાયો છે. સરદાર સરોવર બંધના પાણીનો ઉપયોગ નર્મદા કમાન્ડ વિસ્તારમાં ચોમાસુ, શિયાળું પાક માટે પુરૂ પાડવામાં આવે છે. આ વર્ષે નર્મદા સ્ત્રાવ ક્ષેત્રમાં આવેલ બંધોમાં પાણીનો સંગ્રહ 45% ઓછો હોવાને કારણે નવી દિલ્હીમાં નર્મદા કન્ટ્રોલ ઓથોરીટીની તા.10-01-2018ના રોજ મળેલ બેઠકમાં ગુજરાત અને મધ્યપ્રદેશના બંધોમાં પાણી ઓછું હોવાથી દરેક રાજ્યને ફળવાતું પાણીમાં કાપ મુકવામાં આવ્યો છે. જેના કારણે ગુજરાતને સામાન્ય સંજોગોમાં મળવાપાત્ર 9 મીલીયન એકર ફીટની સામે માત્ર 4.71 મીલીયન એકર ફીટ પાણી ફાળવવામાં આવ્યું છે, જેને ધ્યાને લઇ, ગુજરાતમાં પણ નર્મદાનું પાણી બચત કરવાની ફરજ પડી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, અત્યારે નર્મદા કમાન્ડ વિસ્તારમાં શિયાળું પાક માટે જે પાણી આપવામાં આવે છે તે તા.15-04-2018 સુધી આપવામાં આવશે. ત્યાર પછી નર્મદા કમાન્ડ વિસ્તારમાં નર્મદાની કેનાલમાં કે અન્ય કોઇ કમાન્ડમાં નર્મદાનું પાણી સિંચાઇ માટે આપવામાં આવશે નહી. જેથી દરેક ખેડૂતોને વિનંતી કે, ઉનાળુ પાકનું વાવેતર નર્મદા આધારિત કરવું નહી. જે ખેડૂતભાઇઓ પાસે અન્ય વિકલ્પો ઉપલબ્ધ હોય તો તેઓ ઉનાળુ વાવેતર કરી શકશે.  અને સમગ્ર રાજ્યમાં પીવાના પાણી આધારીત જુથ યોજનાઓમાં નર્મદાનું પાણી યથાવત રીતે ચાલુ રાખવામાં આવશે. જેની ખેડૂતોએ અને નાગરીકોએ નોંધ લેવા નિગમ દ્વારા વિનંતી કરી છે.