પાણીના મુદ્દે સરકારના પ્રધાનો જ આકરે પાણીએ, બાવળીયાએ ધોંસ બોલાવી તો છૂટયો આદેશ

ગાંધીનગર- એકતરફ વરસાદની મોટી ઘટ છે અને સત્તાવાર ચોમાસાએ હવામાનખાતા તરફથી વિદાય લઈ લીધી છે. એવામાં આ વર્ષે પાણીનો પ્રશ્ન ઉકેલવા સરકારના પ્રધાનો પણ આકરે પાણીએ આવી ગયાં છે. બુધવારે મળેલી કેબિનેટ બેઠકમાં આ વાત સામે આવી હતી.

પાણીપ્રધાન કુવરજી બાવળીયાએ જ નર્મદાનું પાણી પોહંચતું ન હોવાની ઉગ્ર રજૂઆત કરી હતી. આ સમયે કેબિનેટ બેઠકમાં તડાફડી મચતાં અન્ય પ્રધાનોએ પણ આ વાતમાં સૂર પુરાવતાં મામલો ગંભીર જણાયો હતો. બાવળીયાએ  સુરેન્દ્રનગર, કચ્છ, મોરબી, બોટાદ, રાજકોટ વિસ્તારમાં હજુ પણ નર્મદાના પાણી નથી પહોંચતાં તે જણાવ્યું હતું.પાઇપલાઈનોમાં તોડફોડના બનાવ બનતાં હોવાની નોંધ લેવાઈ હતી.

આ માહિતી સામે સીએમ રુપાણી દ્વારા તરત જ ચીફ સેક્રેટરીને આ મુદ્દે સતત મોનિટરીંગ માટે કડક સૂચના આપવામાં આવી હતી. સાથે જ, પાંચ જિલ્લાના કલેક્ટરને ફિલ્ડમાં રહેવાના આદેશ કરવામાં આવ્યાં હતાં અને નર્મદાનું પાણી કોઈ પણ હિસાબે યોગ્યપણે વિતરિત થાય તે જોવાની જવાબદારી કલેક્ટરની રહેશે તેમ સ્પષ્ટ કરવામાં આવ્યું હતું.