ટ્રાફિક જાગૃતિ માટે ગુજરાતી કલાકારોની જબ્બર અપીલ, 5 એડ ફિલ્મ લોન્ચ કરતાં કેન્દ્રીયપ્રધાન

અમદાવાદ-ભારત સરકારના માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા ‘માર્ગ સલામતી’ની ગંભીરતાને ધ્યાનમાં લઇ ગુજરાતના કલાકારોના સહયોગથી 5 એડ ફિલ્મો બનાવવામાં આવી છેજેને લોન્ચ કરતાં કેન્દ્રીય માર્ગ પરિવહન, રાજમાર્ગ અને શીપિંગ તથા રસાયણ અને ખાતર રાજ્યપ્રધાન મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે માર્ગ અકસ્માતના આંકડા ચોકાવનારા છે. ગયા વર્ષે લગભગ દોઢ લાખ લોકોના માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયા હતા. જેમાંના 72 % લોકો 18 થી 45 વર્ષના હતા. આ અમારા માટે સંવેદનાનો વિષય છે. કારણ કે આનાથી દોઢ લાખ પરિવારોને સીધી અસર પહોંચે છે અને આથી જ તેમનું મંત્રાલય માર્ગ સલામતી અંગે નક્કર પગલા લેવા માટે કટિબદ્ધ છે.

સમાજ સેવાના ભાગરૂપે ગુજરાતી કલાકારો દ્વારા તેમાં વિનામૂલ્યે કામ કરવા બદલ કલાકારોનો આભાર વ્યક્ત કરાયો હતો. તેમણે જેનેરિક દવાઓ અંગે જાગૃતિ ફેલાવવા માટે પણ આ કલાકારોને આગળ આવવા અનુરોધ કર્યો હતો.માંડવિયાએ જણાવ્યું હતું કે સરકારનાં પ્રયત્નોથી માર્ગ અકસ્માત મૃત્યુ ઘટ્યા છે પરંતુ હજુ પણ આ આંકડો ખૂબ મોટો છે. વર્ષ ૨૦૨૦ સુધીમાં અકસ્માતની સંખ્યા અડધી કરવા અમે જનજાગૃતિ ઝૂંબેશ હાથ ધરી છે.

આ કાર્યક્રમમાં ઉપસ્થિત માર્ગ સલામતી માટે કાર્ય કરતા સ્વૈચ્છિક સંગઠનોના પ્રતિનિધિઓ, સમાજસેવકો, રિક્ષા-બસ-ટેક્સી-ટ્રક-ડ્રાઇવીંગ સ્કૂલ એસોસીએશનના પ્રતિનિધિઓ, ગુજરાત સરકાર અને ભારત સરકારનાં પ્રતિનિધિઓને પણ મનસુખભાઇ માંડવિયાએ ‘માર્ગ સલામતી’ જાગૃતિને રોજીંદા જીવનનો ભાગ બનાવી આ અભિયાન સાથે જોડાવા આહવાન કર્યુ હતું.

આ કાર્યક્રમમાં ગુજરાત સરકારનાં વાહનવ્યવહાર પ્રધાન ઇશ્વરસિંહ પટેલ, તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના નિર્માતા આસિતકુમાર મોદી, કિંજલ દવે, આરોહી પટેલ, મૌલિક નાયક, આરજે ધ્વનિત, આરજે દેવકી સહિત વિવિધ ક્ષેત્રોના અગ્રણીઓ હાજર રહ્યાં હતાં.