સરકાર મહાનગરથી 15-20 કિ.મી. દૂર માલધારી વસાહત વસાવવા જમીન ફાળવાશે

ગાંધીનગર- ગુજરતાના ૮ મહાનગરોમાં વરસોથી પોતાના ઢોર-ઢાંખર પશુઓ સાથે વસવાટ કરતા માલધારી સમાજના લોકો માટે મહાનગરથી ૧પ-ર૦ કિ.મી. દૂર માલધારી વસાહતોના નિર્માણ માટે મહાપાલિકાઓને રાજ્ય સરકાર ટોકન દરે જમીન ફાળવશે એમ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રુપાણીએ જણાવ્યું હતું.મહાનગરોમાં આવા પશુઓ ઢોર-ઢાંખરને કારણે ટ્રાફિકમાં અડચણ તેમજ પ્રસંગોપાત માનવીઓને પણ હાનિ-નૂકશાનની ઘટનાઓ બનતી હોય છે. આ સમસ્યા તેમજ માલધારીઓના જીવન નિર્વાહ સમા પશુપાલન વ્યવસાય બેયનો યોગ્ય વિચાર કરીને આવી માલધારી વસાહતો બનાવવા માટે રાજ્ય સરકારે બજેટમાં નાણાં જોગવાઇ કરી છે. વિજય રુપાણીએ ઉમેર્યુ કે, આવી માલધારી વસાહતોમાં પશુઓ માટેના શેડ-પાણીની વ્યવસ્થા, વીજળી તેમજ માલધારીઓને રહેવા નાના રહેઠાણ જેવી માળખાકીય સવલતો માટે પણ રાજ્ય સરકાર મદદરૂપ થશે.મુખ્યપ્રધાને ગાંધીનગરમાં ગુજરાત ગોપાલક વિકાસ નિગમના ઉપક્રમે માલધાારી, રબારી-ભરવાડ કોમના પ૧૩ જેટલા લાભાર્થીઓને પશુસહાય સહિત વિવિધ યોજનાઓ અન્વયે રૂ. ૬ કરોડ ૭૭ લાખના ધિરાણ-સહાય ચેક અર્પણ કર્યા હતા.