એકતરફ કરાલકાળ વાયુ અને બીજી તરફ 4 નવજન્મની કિલકારી

ભાવનગર- સમગ્ર સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાળ વિસ્તાર વાયુ વાવાઝોડાની ગંભીર અસર હેઠળ હોવાની સંભાવનાઓથી ચિંતિત છે, ત્યારે સરકારી તંત્ર રાજ્યમાં વસતા નાગરિકોની સલામતી માટે સજ્જ અને પૂરતી સંવેદનાઓ ધરાવતું હોવાનું તાદૃશ ઉદાહરણ ભાવનગર જિલ્લાના મહુવા ખાતે જોવા મળ્યું હતું.

ભાવનગરમાં વાવાઝોડાની સૌથી વધુ અસરની સંભાવનાઓ છે, તેવા મહુવા તાલુકાની 29 જેટલી સગર્ભાઓને સરકારી તંત્ર દ્વારા તાત્કાલિક જાહેર આરોગ્ય કેન્દ્રો ખાતે ખસેડવામાં આવી હતી. જેમાંથી ચાર મહિલાની સફળ પ્રસૂતિ કરાવવામાં આવી હતી. બુધવારે મોડી રાત્રે રાજ્યનાં મહિલા અને બાળકલ્યાણપ્રધાન વિભાવરી દવેએ આ તમામ સગર્ભાઓની મુલાકાત લઈ, પ્રસૂતાઓના ખબરઅંતર પૂછ્યાં હતાં અને આરોગ્ય તંત્રને તેમની કામગીરી બદલ શુભેચ્છાઓ પાઠવી, તમામ મહિલાઓની સુશ્રૂષાની પૂરતી કાળજી લેવા માટે ભલામણો કરી હતી.

મુશ્કેલીઓમાં જ માનવતા વધુ સારી રીતે મૂલવાતી હોય છે અને સમસ્યાઓમાં જ સંવેદનાઓની સુવાસ વધુ પ્રગાઢ રીતે અનુભવી શકાય છે. અરબી સમુદ્રમાં સર્જાયેલા વાયુ વાવાઝોડાની સંભવિત ગંભીર પરિસ્થિતિઓના પગલે સમગ્ર રાજ્યનું સરકારી તંત્ર અને આકસ્મિક બચાવ ટુકડીઓ સજ્જ છે. 28 હજારથી વધુ નાગરિકોનું સલામત જગ્યાએ સ્થળાંતર કરાવવામાં આવ્યું છે.

આ દરમિયાન મહુવા તાલુકાના અલગ અલગ ગામોમાં કુલ 29 જેટલી સગર્ભાઓ પૂરા દિવસે હોવાનું ધ્યાને આવતાં, તેમના આરોગ્ય અને પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાને લઈ, તેમને પ્રસૂતિમાં કોઈ મુશ્કેલી ઊભી ન થાય, તે માટે તમામ મહિલાઓને જાહેર આરોગ્ય કેન્દ્ર ખાતે સ્થાનાંતરિત કરવામાં આવી હતી. જેમાં ખરેડની 10, વાઘનગરની 3, નીચાકોટડા, દયાળ, કતપર, ડોળીયા, દુધેરીની બબ્બે તેમજ નૈપ, કળસાર, ગુજરડા, વાંગર અને બંદર- એ તમામ ગામની એક-એક એમ કુલ 29 મહિલાઓને આશાવર્કર બહેનોની મદદથી એમ્બ્યુલન્સ અથવા અન્ય વાહનોમાં તંત્ર દ્વારા મહુવા એસડીએચ ખાતે ખસેડવામાં આવી હતી.

કતપરનાં મધુબેન હરેશભાઈ શ્યાળે 2.3 કિલોની બાળકીને જન્મ આપ્યો હતો, જ્યારે ડોળીયાનાં લીલાબેન પ્રવીણભાઈ જોળીયાની કૂખે 3 કિલોગ્રામની બાળકી જન્મી હતી. આ જ રીતે ખરેડના શોભાબેન હરિભાઈ ચુડાસમાને રાજુલા ખાતે ખસેડાયાં હતાં, જ્યાં ખાનગી હોસ્પિટલમાં તેમણે 2 કિલોની બાળકીને જન્મ આપ્યો હતો. આ ઉપરાંત, વાંગરનાં લાભુબેન ભગવાનભાઈ મકવાણાએ 3.980 કિલોના તંદુરસ્ત પુત્રને જન્મ આપ્યો હતો. વિભાવરીબેને પ્રસૂતાઓને મળી તેમના સ્વાસ્થ્ય અંગે ખબરઅંતર પૂછતા તમામ સગર્ભાઓ અને પ્રસૂતાઓએ તંત્ર પ્રત્યે સંતોષની લાગણી વ્યક્ત કરી હતી.

સાથે જ ‘વાયુ’ વાવાઝોડાની અસર હેઠળના કતપર બંદરની મુલાકાતે રાજ્યપ્રધાન વિભાવરીબેન દવે, અધિકારીઓ-પદાધિકારીઓ પ્રભારી સચિવ, કલેક્ટર, ડીડીઓ, એસપી જોડાયાં હતાં.બંદર વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદી વાતાવરણના પગલે ૯ નંબરનું સિગ્નલ અપાયું હતું.’વાયુ’ વાવાઝોડાની અસર હેઠળ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના સંભવિત અતિપ્રભાવિત કતપર બંદર પર વાવાઝોડાની અસરતળે બંદરકાંઠે ભારે પવન સાથે વરસાદ શરૂ થઈ ગયો હતો.