પૂર્વ સીએમ કેશુભાઈ પટેલના પુત્રનું નિધન, બહેન પાસે રાખડી બંધાવવા આવ્યાં હતાં અમદાવાદ

અમદાવાદ– ગુજરાતના પૂર્વ સીએમ કેશુભાઈ પટેલને વધુ એકવાર પુત્ર શોકમાં ગરકાવ થવું પડ્યું છે. તેમના સૌથી મોટા પુત્ર જગદીશ પટેલનું અમદાવાદમાં હાર્ટએટેકથી અવસાન થયું હતું. તેઓ બહેન પાસે રાખ઼ડી બંધાવવા અમદાવાદ આવ્યાં હતાં, જ્યાં ગઈકાલે હૃદયરોગનો હુમલો આવી ગયો હતો. તેમની સ્મશાનયાત્રામાં મોટી સંખ્યામાં પરિવારજન અને સ્નેહીઓ જોડાયાં હતાં.ઉલ્લેખનીય છે કે જગદીશ પટેલ કેશુભાઈના પાંચ પુત્રો અને એક પુત્રીમાં સૌથી મોટા હતાં. તેમણે રાજકોટના મવડીમાં તેમનું કારખાનું બંધ કરી દીધું હતું અને ઓશો સેન્ટર- ઓશો આનંદધામ ધ્યાનમંદિર શરુ કર્યું હતું. 2009માં તેમણે ઓશો સત્યપ્રકાશ ધ્યાનમંદિરમાં સંન્યાસ ગ્રહણ કરી લીધો હતો.

જગદીશ પટેલ પહેલાં ગત વર્ષે કેશુભાઈના પુત્ર પ્રવીણ પટેલનું સપ્ટેમ્બરમાં નિધન થઈ ચૂક્યું છે ત્યારે વૃદ્ધાવસ્થામાં વધુ એકવાર તેમને પુત્રશોકનું દુઃખ આવી પડ્યું છે.

રાજકોટમાં આત્મીય કોલેજ ખાતે ગુરુવારે સદગત જગદીશ કેશુભાઈ પટેલનું બેસણું રાખવામાં આવ્યું છે.