ઇશરતજહાં એન્કાઉન્ટર કેસમાંથી પૂર્વ ડીજીપી પી. પી. પાંડેય મુક્ત થયાં

અમદાવાદ- 2004માં અમદાવાદના કોતરપુર વોટર વર્કસ પાસે થયેલાં ઈશરતજહાં એન્કાઉન્ટર કેસમાંથી પૂર્વ ડીજીપી પી પી પાંડેયને મોટી રાહત મળી છે. તેમણે આ કેસમાંથી ડિસ્ચાર્જ કરવાની અરજી કરી હતી જેને વિશેષ સીબીઆઈ કોર્ટે મંજૂર કરી છે. જેને પગલે હવે પાંડેય આ કેસમાંથી મુક્ત થઇ ગયાં છે.કોર્ટે પી પી પાંડેને કેસમાંથી ડીસ્ચાર્જ આપતાં જણાવ્યું હતું કે આ કેસમાં પ્રાથમિત પુરાવાઓનો અભાવ છે તેમ જ સાક્ષીઓના નિવેદન સતત બદલાતાં રહ્યાં છે. તેમ જ પ્રોસિક્યૂશન સેન્ક્શન લેવામાં આવ્યું નથી.

પી પી પાંડેય તરફથી વકીલ નિરુપમ નાણાવટી અને હિતેશ ગુપ્તાએ દલીલો કરી હતી.

પી પી પાંડેયની આ કેસમાંથી મુક્તિ ગુજરાત પોલિસ માટે મોટી રાહત માનવામાં આવી રહી છે. ઇશરત કેસમાં ધરપકડ બાદ સસ્પેન્ડથયેલાં પાંડેયને જામીન મુક્તિ બાદ સરકારે પરત લીધાં હતાં. તેમ જ નિવૃત્તિ બાદ એક્સટેન્શન આપી કાર્યકારી ડીજીપી પણ બનાવાયાં હતાં.જેને સુપ્રીમ કોર્ટે એક્સટેન્શન રદ કરી તાત્કાલિક હોદ્દા પરથી દૂર કરવાનો આદેશ આપ્યો હતો. આ ઇશરતજહાં એન્કાઉન્ટર કેસમાંથી પૂર્વ ડીજીપી પી પી પાંડેય મુક્ત થયાં છે.

કેસની વિગત પ્રમાણે જૂન 2004માં કોતરપુર પાસે ઇશરત જહાં સહિત ચાર લોકોને એન્કાઉન્ટરમાં ઠાર મારવામાં આવ્યાં હતાં. ગુજરાત પોલિસના જણાવ્યાં પ્રમાણે તેઓ ચારેય લશ્કરે તોઇબાના આતંકીઓ હતાં અને તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીને મારવા માટે આવ્યાં હતાં. આ એન્કાઉન્ટર નકલી હોવાનું જણાવી કરાયેલા કેસમાં પી પી પાંડેયને આરોપી બનાવવામાં આવ્યાં હતાં. જેને લઇને પાંડેય 18 માસની જેલવાસ પણ ભોગવી ચૂક્યાં છે.