નર્મદા કેનાલ નેટવર્કમાં સફાઇ-મરામત પૂરજોશમાં, ખેડૂતો ખુશ

અમદાવાદ- સુજલામ્ સુફલામ્ જળ સંચય કાર્યક્રમ હેઠળ રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા યોજનાના કેનાલ નેટવર્કમાં પણ સફાઇ અને મરામતના કામ પૂરજોશમાં ચાલી રહ્યાં છે.સરદાર સરોવર નર્મદા નિગમની યાદીમાં જણાવાયું હતું કે નર્મદા નિગમ દ્વારા નર્મદા યોજનાના કેનાલ નેટવર્કમાં 16 જિલ્લાઓનાં 65 તાલુકાઓમાં કામગીરી હાથ ધરવામાં આવી છે. જેના પરિણામે આગામી સિઝનમાં સિંચાઈ માટે પાણી છેક છેવાડાના વિસ્તારના ખેડૂતોને પહોંચાડવામાં સરળતા રહેશે અને કેનાલ ઉભરાવાથી આજુબાજુનાં ખેતરોમાં થતું નુકશાન નિવારી શકાશે.નર્મદા કેનાલમાં સફાઈ અને મરામતની કામગીરી સૌરાષ્ટ્ર વિસ્તાર, મહેસાણા, પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં પૂરજોશમાં ચાલી રહી છે. કેનાલની સાફસફાઈ તથા મરામતની કામગીરીમાં ખેડૂતોનો પણ વ્યાપક સહકાર સાંપડી રહ્યો છે. આ કામગીરીથી કમાન્ડ વિસ્તારનાં ખેડૂતોમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે.