લાયસન્સ માટે રાજ્યભરના વાહનચાલકોને અસર કરતો નિર્ણય લેતી રાજ્ય સરકાર

ગાંધીનગર- રાજ્યભરના વાહનચાલકો માટે લાયસન્સની કડાકૂટ આસાન બનાવતો નિર્ણય લેવાયો છે. આ નિર્ણય આરટીઓ ઓફિસને લગતો પણ છે.

સરકારે નક્કી કર્યું છે કે હવેથી રાજ્યની કોઇપણ આરટીઓ કચેરીમાંથી ડ્રાયવિંગ લાયસન્સ રીન્યૂ કરાવી શકશે. જોકે તે માટે અરજદારે ઓનલાઇન એપોઇન્ટમેન્ટ લેવાની રહેશે. આ નિર્ણયથી નાણાં અને સમય વેડફાતાં બચવાની આશા વ્યકત કરવામાં આવી છે.

વાહનચાલકોએ ડ્રાઇવિંગ લાયસન્સ મેળવ્યા બાદ નોકરી, લગ્ન, ધંધા, રોજગાર અર્થે મૂળ કાર્યક્ષેત્રની બહાર જવું પડતું હોય છે ત્યારે ડ્રાઇવિંગ લાયસન્સની મુદત પુરી થઇ જાય અને આ માટે રીન્યુ કરાવવા મૂળ કચેરીમાં આવવું પડતું હતુંં. તેને ધ્યાનમાં લઇને આ મહત્વનો નિર્ણય કરાયો છે. આ નિયમ 7 જૂનથી અમલી બનશે.

નાગરિકો ડ્રાઇવિંગ લાયસન્સ રીન્યૂ તેમ જ નામ પણ બદલી શકશે. પરંતુ મૂળ લાયસન્સનો નંબર, હયાત વર્ગ, જન્મ તારીખ, ઇસ્યુ તારીખ બદલી શકાશે નહીં. અરજદારે parivahan.gov.in વેબસાઇટ ઉપર જે કચેરીમાં ડ્રાઇવિંગ લાયસન્સ રીન્યૂ કરાવવા જવું હોય તે કચેરી સિલેક્ટ કરી ઓનલાઇન જરુરી એપોઇન્ટમેન્ટ લેવાની રહેશે.