અમદાવાદઃ શાસ્ત્રીનગરના દબાણો, વિવાદી બાંધકામ દૂર કરાયાં

અમદાવાદઃ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં ગેરકાયદે દબાણો દૂર કરવાની કામગીરી કરાઈ રહી છે. રસ્તા પર ગેરકાયદે બાંધવામાં આવેલા બાંધકામો તોડીને રસ્તાને પહોળા કરવામાં આવી રહ્યાં છે.

ત્યારે આજે શહેરના શાસ્ત્રીનગર વિસ્તારથી રન્નાપાર્ક તરફ જતા માર્ગ પર આવેલા પેટ્રોલ પંપ પાસે અડીને એક બાંધકામ હતું તેને દૂર કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે પેટ્રોપંપ પાસે ગેરકાયદે બાંધવામાં આવેલું આ બાંધકામ લોકોને અડચણરુપ હતું અને ભૂતકાળમાં અકસ્માતના કિસ્સાઓ પણ સામે આવ્યા છે. ત્યારે આજે કોર્પોરેશનના કર્મચારીઓ અને અધિકારીઓ દ્વારા આ દબાણ દૂર કરવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે ગુજરાત હાઉસિંગ બોર્ડના નવા તૈયાર થયેલા મકાનોની બહાર ગેરકાયદે તાણી બાંધવામાં આવેલા ઝૂંપડાઓની બહાર માર્ગ પર જ સૂતાં કેટલાક લોકો ભૂતકાળમાં અકસ્માતનો ભોગ બન્યાં હતાં. આ ઘટના બાદ પણ સતત દબાણો વધતા ગયાં જે માર્ગ પર અડચણરુપ સાબિત થતાં હતાં. ત્યારે આજે કોર્પોરેશન દ્વારા આ દબાણો હટાવી માર્ગને ખુલ્લો કરવામાં આવ્યો હતો.

(તસવીર-અહેવાલઃ પ્રજ્ઞેશ વ્યાસ)