ખનીજચોરીમાં બારડનું MLA પદ રદ તો બોખીરીયા કેમ બાકાતઃ કોંગ્રેસ કોર્ટમાં જશે

ગાંધીનગર-ગુજરાત કોંગ્રેસ એકતરફ 12 માર્ચે યોજાનાર સીડબ્લયૂસી બેઠક માટે ભારે ઉત્સાહમાં છે ત્યાં ગુજરાત કોંગ્રેસ માટે બખેડો ખડો થયો છે. કોંગ્રેસના તાલાળાના ધારાસભ્યનું ધારાસભ્ય પદ રદ થઈ ગયું છે. વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ આ સંદર્ભે નિર્ણય જાહેર કર્યો હતો.
ભગવાન બારડને સૂત્રાપાડા કોર્ટે બે દાયકા પહેલાંના ખનીજચોરીના કેસમાં બે વર્ષ નવ માસની સજા ફટકારી છે.જેને લઈને કાયદાકીય કાર્યવાહીના ભાગરુપે બારડનું ધારાસભ્ય પદ રદ કરવામાં આવ્યું હોવાનું જણાવાયું હતું. આ નિર્ણય સામે કોંગ્રેસમાં ઘેરી પ્રતિક્રિયારુપે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે. કોંગ્રેસને આ સાથે તાજેતરમાં આશા પટેલના પક્ષ છોડવા સહિત બારડના કેસ ફટકો પડ્યો છે અને તેના સંખ્યાબળમાં બે સભ્યની કમી આવી છે.

કોંગ્રેસ આ મામલે વિરોધ કરતાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે જો કાયદાકીય કાર્યવાહીના ભાગરુપે બારડનું સભ્યપદ રદ થતું હોય તો બાબુ બોખીરીયાને કેમ હજુ સુધી સસ્પેન્ડ નથી કરવામાં આવ્યાં? કોંગ્રેસ આ મામલે કોર્ટના દ્વાર ખખડાવશે. કોંગ્રેસ નેતા અર્જૂન મોઢવાડિયાએ આમ માધ્યમો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.

આપને જણાવીએ કે કેબિનેટપ્રધાન બાબુ બોખીરીયાને કોર્ટે ત્રણ વર્ષની સજા અને પાંચ હજારનો દંડ ફટકાર્યો હતો. બાબુ બોખિરિયાને વર્ષ 2013માં આ સજા ફટકારવામાં આવી હતી. જ્યારે તાલાળાના કોંગ્રેસના ધારાસભ્ય ભગવાન બારડને સૂત્રાપાડાની કોર્ટે ખનીજ ચોરીના કેસમાં બે વર્ષ અને નવ મહિનાની સજા અને 2500નો દંડ પણ ફટકાર્યો છે.બારડને 1995ના વર્ષના સરકારી ગોચર જમીનમાંથી ખનીજની ચોરી કરવાના ગુનામાં સજા મળી છે.  આ મામલે તેમની સામે રૂ. 2.83 કરોડની ખનીજ ચોરીનો ગુનો નોંધાયો હતો.

પ્રતીકાત્મક તસવીર

આ અંગેનો કેસ સૂત્રાપાડાની કોર્ટમાં લાંબા સમયથી ચાલી રહ્યો હતો. આ કેસમાં શુક્રવારે કોર્ટે પોતાનો નિર્ણય સંભળાવ્યો હતો. કોર્ટે તેમને ચોરીના ગુનામાં દોષિત જાહેર કરીને સજા ફટકારી છે. પોતાના પ્રતિનિધિ એવા ધારાસભ્યને સજા ફટકારવામાં આવતા ગુજરાત કોંગ્રેસમાં ચકચાર મચી ગઈ છે.