લાંચિયા અધિકારીઓને ઝડપવામાં પાછી પાની નહીંઃ ગૃહરાજ્યપ્રધાન જાડેજા

ગાંધીનગર– એ.સી.બી.ના માળખાને વધુ સુદ્દઢ બનાવવા રાજ્યના ગૃહ વિભાગે અનેક પગલાં લીધા છે. એ.સી.બીની કામગીરી પ્રજાલક્ષી અને પરિણામલક્ષી બને તે માટે પ્રોસીક્યુશન, ફોરેન્સીક  ઈન્વેસ્ટીગેશન, પુરતુ મહેકમ અને આધુનિકરણ માટે નાંણાકીય ઉપલબ્ધિ અને  આયોજન એમ પાંચ આધારસ્તંભોને  મજબૂત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરાયું છે, એમ ગૃહરાજ્યકક્ષાના પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું.એ.સી.બીએ તેની કાર્યપ્રણાલિને વધુ પરિણામલક્ષી બનાવવા માટે આગામી પાંચ વર્ષ માટેનો વિઝન ડોક્યુમેન્ટ પણ તૈયાર કર્યો છે.  ઈન્ટરનેશનલ એન્ટી કરપ્શન એકેડેમી, ઓસ્ટ્રીયા સાથે મહત્વના એમ.ઓ.યુ કરાયા છે.  એટલું જ નહી પરંતુ સી.બી.આઈ એકેડેમી, ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી, ગુજરાત ફોરેન્સીક સાયન્સીઝ યુનિવર્સિટી સાથે તાલીમ માટે, ગુજરાત સ્ટેટ જ્યુડીશીયલ એકેડીમી સાથે, ગુજરાત સ્ટેટ લેવલ લીગલ સર્વીઝ ઓથોરિટી સાથે તથા ટેકનીકલ એન્ડ ફોરન્સીક સપોર્ટ યુનિટ (TAFSU) સાથે પણ વિવિદ એમ.ઓ.યુ કરાયા છે.

એ.સી.બી.ના માળખાને વધુ પ્રજાભિમૂખ બનાવવા આગામી સમયમાં દરેક સેશન્સ કોર્ટમાં ચાલતાં ટ્રાયલના એ.સી.બી.ના કેસો માટે કોર્ટ દીઠ બે પબ્લીક પ્રોસિક્યુટરની નિમણૂંક કરાશે. અત્રે ઉલ્લેખનીય છે કે, એ.સી.બી.ના મહત્વના કેસો માટે સ્પેશ્યલ પબ્લીક પ્રોસિક્યુટરની નિમણૂંક રાજ્ય સરકારે કરેલી છે. આ ઉપરાંત સી.બી.આઇની પધ્ધતિ મુજબ એ.સી.બી.ના કોર્ટમાં ચાલતા કેસો અંગે પબ્લીક પ્રોસીક્યુટર અને તપાસ અધિકારીને પ્રોસિક્યુશનમાં મદદરૂપ થવા માટે લીગલ સપોર્ટ સ્ટાફની નિમણૂંક એક કોર્ટ દીઠ કરાશે.જાહેર સેવકોએ વસાવેલ બેનામી તથા અપ્રમાણસર મિલકતો અંગે કેસો કરવા માટે એ.સી.બી.માં ખાસ ડી.એ યુનિટની રચના કરવામાં આવશે ઉપરાંત રાજ્યના દરેક વિભાગમાં વિજીલન્સ ઓફીસરની નિમણુંક કરવામાં આવેલ છે. આ વિજીલન્સ ઓફીસર એસીબીના સંકલનમાં રહી તકેદારીને લગતી સુચારૂ કામગીરી કરશે.

રાજ્ય સરકાર દ્વારા ભ્રષ્ટાચાર નાબૂદી માટે મળેલી સૂચનાના આધારે  રાજ્યમાં ક્યાંય પણ ભ્રષ્ટાચાર થતો હોય ત્યાં કડક હાથે કામ લેવાની સુચનાના પગલે ગાંધીનગર સ્થિત ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમમાં પણ તપાસ હાથ ધરાઈ હતી.   ત્યાં આવા ભ્રષ્ટાચાર અંગે ગુપ્ત બાતમી મળી હતી. છેલ્લા કેટલાય સમયથી સરકારી ગ્રાન્ટોનો તથા સરકારી યોજનાઓનો લાભ લેવા માટે આમ જનતાને મોટી રકમની લાંચ આપવી પડતી હોવાની ફરિયાદોના પગલે
તા. ૧૨મી એપ્રિલે એ.સી.બી.ના અધિકારીઓ/કર્મચારીઓએ ઓચિંતુ ચેકીંગ હાથ ધર્યું હતું.  નિગમના એમ.ડી  કે.એસ.દેત્રોજા પાસેથી રૂ. ૧,૨૮,૦૦૦/- તથા સોનાના પેન્ડલ-બુટ્ટી, જોઈન્ટ ડાયરેકટર કે.સી પરમાર પાસેથી બિન હિસાબી રકમ રૂ. ૪૦,૫૨,૫૦૦/- મદદનીશ નિયામક એમ.કે.દેસાઈ પાસેથી બિન હિસાબી રૂ.૯,૦૦,૦૦૦/-, ફીલ્ડ સુપરવાઈઝર એસ.એમ.વાઘેલા પાસેથી બિન હિસાબી રૂ. ૫,૦૦,૦૦૦/- તથા કંપની સેક્રેટરી એસ.વી.શાહ પાસેથી બિન હિસાબી રૂ. ૭૦,૦૦૦ મળી આવ્યા હતા. આ બાબતે કે.એસ દેત્રોજા, કે.સી.પરમાર, સામે ગુનો દાખલ કરી તપાસ હથ ધરી છે.  આ કેસમાં તથા આવા કોઈ પણ કેસમાં કોઈ પણ ચમરબંધી હશે તેને છોડવામાં નહીં આવે. આગામી દિવસોમાં આ પ્રકારના સર્ચ ચાલુ રખાશે.