પ્રજાસત્તાક દિનની રાષ્ટ્રીય પરેડમાં ગુજરાત તરફથી આ ટેબ્લો થશે રજૂ

ગાંધીનગર-  નવી દિલ્હી ખાતે દક્ષિણ આફ્રિકાના પ્રમુખ માટામેલા સિરિલ રામાફોસાની વિશેષ ઉપસ્થિતિમાં યોજાનાર પ્રજાસત્તાક દિનની રાષ્ટ્રિય પરેડમાં ગુજરાત સરકાર દ્વારા “ઐતિહાસિક દાંડીયાત્રા”  વિષયક ટેબ્લો રજૂ કરીને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને કાર્યાંજલિ આપવામાં આવશે.

મહત્વનું છે કે,રાષ્ટ્ર અત્યારે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મ જયંતી ઉજવી રહ્યું છે, ત્યારે ૨૬ જાન્યુઆરીએ પ્રજાસતાક પર્વની રાષ્ટ્રીય પરેડમાં રજૂ થનાર ટેબ્લોના વિષયને પૂજય બાપૂના જીવન –કવન સાથે વણી લેવામાં આવશે.

આ વર્ષે પ્રજાસત્તાક દિનની પરેડમાં ગાંધીજીએ દેશભરમાં કરેલા કાર્યોની સ્મૃતિ, નવી દિલ્હીના રાજમાર્ગ ઉપર તાજી થશે. પૂજ્ય બાપુની ઐતિહાસિક દાંડીયાત્રાને ટેબ્લો દ્વારા રાજધાનીના માર્ગો પર સજીવન કરાશે. એ જ પ્રમાણે દેશના અન્ય રાજ્યો પણ તેમના રાજ્યમાં ગાંધીજીના કાર્યોને વણી લેતા પ્રસંગો ટેબ્લોમાં પ્રસ્તુત કરશે.

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના નેતૃત્વમાં નીકળેલી ઐતિહાસિક દાંડીયાત્રા ભારતના સ્વતંત્ર સગ્રામમાં નિર્ણાયક ભૂમિકા ભજવી હતી. જયારે ગુજરાતના સમુદ્ર તટના હજારો ગરીબ પરિવારોને રોજગારી–રોટી આપવા વાળા મીઠાના ઉત્પાદન પર અંગ્રેજોએ ગેરકાનૂની રીતે, બળજબરી પૂર્વક ટેક્ષ વસૂલીનો નિર્ણય લીધો ત્યારે પૂજય બાપુએ અંગ્રેજો સામે અવાજ ઉઠાવ્યો અને સાબરમતી આશ્રમથી ઐતિહાસિક કૂચ કરી દાંડી ખાતે એક મુઠ્ઠીમાં મીઠુ ઉપાડીને સવિનય કાનૂન ભંગ કરીને દેશની સ્વતંત્રતા ચળવળને એક નવી દિશા આપી હતી. આ ઐતિહાસિક દાંડીયાત્રાએ અંગ્રેજોને ભારત છોડવા માટે મહત્વની ભૂમિકા ભજવી હતી.

ગુજરાત તરફથી રજૂ થનાર આ ટેબ્લોમાં આગળના ભાગમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી(મોહનદાસ કરમચંદ ગાંધી)ની અતિ દુર્લભ બાલ્યકાળની પ્રતિમા અને પોરબંદર સ્થિત પૂજય બાપુનું જન્મ સ્થાન કીર્તિ મંદિર આબેહૂબ રજૂ કરવામાં આવ્યું છે.

ટેબ્લોના બીજા ભાગની શરૂઆતમાં દાંડીયાત્રા સાબરમતી આશ્રમથી દાંડી પુલ થઇને દાંડીના સમુદ્ર કિનારે પહોંચીને મીઠુ ઉપાડી સવિનય કાનૂન ભંગ કરતા પૂજય બાપુને દર્શાવવામાં આવ્યાં  છે. ઐતિહાસિક દાંડીયાત્રાની સફળતાથી ગભરાયેલ અંગ્રેજ સલ્તનતે પૂજ્ય બાપુને જેલમાં બંધ કરી દીધા હતાં તે પણ ટેબ્લોના અંતિમ ભાગમાં દર્શાવવામાં આવ્યું છે.