ભરવાડ સમાજે ગાડીઓની સહાય આપી, બેરોજગારી દૂર કરવાનો હેતુ

અમદાવાદઃ ગુજરાતમાં બેરોજગારી વધી રહી છે, ત્યારે ભરવાડ સમાજના યુવા સંગઠને તેમના સમાજના યુવાનોને રોજગારી મળી રહે તે માટે નવો રસ્તો કાઢ્યો છે. ભરવાડ યુવા સંગઠન દ્વારા ગુજરાત સ્થિત સમાજના 300 યુવાનોને મહિન્દ્રા બોલેરો અને મારુતિ સુઝુકી ઇકો ગાડીનું વિતરણ કરવામાં આવ્યું છે. જેથી સમાજના યુવાનો રોજગારી મેળવી શકે અને સમાજમાં કોઈ બેરોજગાર ન રહે તે હેતુથી આ વિતરણ કરવામાં આવ્યું છે.

ભરવાડ સમાજના પ્રવક્તા રણછોડભાઈ ભરવાડે જણાવ્યું હતું કે તેમનું સંગઠન શિક્ષણને પણ મહત્વ આપે છે જેથી શિક્ષિત સમાજથી એક શિક્ષિત રાષ્ટ્ર બનાવી શકે. ૩૦૦ ગાડીઓ આપવી એ રોજગારીનું પ્રથમ પગલું છે. આવનારા સમયમાં બીજી જગ્યાએ જઈને પણ ગાડીઓ આપવાનું વિચારે છે. ભરવાડ સમાજનો યુવાન બેરોજગાર ન રહે, અને આવનારી પેઢી વધુ શિક્ષિત બને તેવો પ્રયાસ કરાયો છે. આજે યુવા સંગઠન દ્વારા 300 કાર આપીને યુવાનોને સ્વ-નિર્ભર બનાવવા માંગે છે.

ભરવાડ સમાજના પ્રવક્તા ભરતભાઈએ જણાવ્યું હતું કે યોજના અંતર્ગત ગુજરાત સ્થિત સમાજના ૩૦૦ યુવાઓને ૩૦૦ મહિન્દ્રા બોલેરો મેક્સી અને મારુતિ સુઝુકી ઇકો ગાડી એક પણ રૂપિયો ભર્યા વગર માસિક ૧૩,૦૦૦ના ૬૦ સરળ હપ્તે રોજગાર મેળવવા માટે ગાડી આપવામાં આવી છે. કાર આપવાના કાર્યક્રમમાં ભરવાડ સમાજના વડીલો, સંતોએ હાજરી આપી હતી અને યુવા સંગઠનના કામને બિરદાવ્યું હતું.