અંબાજી પદયાત્રીઓ માટે ભરતડકે રોડ પર ‘રનિંગ કેમ્પ’ની સેવા

ખેડબ્રહ્મા– ગુજરાતની શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમે દર્શન કરવા જતાં પગપાળા યાત્રીઓનો મોટો જથ્થો હવે ઝપાટાભેર ખેડબ્રહ્મા સુધી તમામ દિશાઓમાંથી પહોંચી રહ્યો છે. આ વિસ્તારના સૂના માર્ગો પર બળબળતા તાપમાં જતાં હોય અને દૂર દૂર સુધી કોઇ રાહત કેમ્પના ખેમા પણ નજરે ન ચડતાં હોય ત્યારે સામે ચાલીને શીતળ જળનો પ્યાલો અને નાસ્તો હાથમાં થમાવવામાં આવે ત્યારે પદયાત્રીઓના અંતરના આશીષ નીકળી પડે છે.પદયાત્રીઓની સેવામાં શહેરી વિસ્તારોમાં ઘણાં કેમ્પમાં સેવા આપવામાં આવે છે. જોકે પદયાત્રીઓને દૂરદૂરના નિર્જન માર્ગો પર આવી રાહત આપવા જનાર આ યુવાઓ અને વડીલવર્ગની સેવાની ભાવનાને દાદ આપવી પડે.

આજકાલ પેટ્રોલ ડીઝલના ભાવ આસમાને છે અને વાહન બહાર કાઢતાં સો વાર વિચારવું પડે છે ત્યારે ભૂખ્યાં તરસ્યાં અંબાભક્તો માટે સાક્ષાત જાણે માતૃવત ભાવના હૃદયે ધરીને દોડી જનાર આ સૌ કોઇ અમદાવાદના સીટીએમ સ્થિત હરિ ઓમ શ્રી પરિવારના સદસ્યો છે. આ રીતે તેઓ વરસોથી સેવા આપી રહ્યાં છે અને ખરેખર જરુરતમંદ યાત્રીઓના આશીર્વાદ મેળવી રહ્યાં છે.