નાર્કોટીક્સ સેલ દ્વારા રાજ્યનો પ્રથમ કેસ, પોલિસને મળી કેસ કરવાની સત્તા

ગાંધીનગરઃ ગૃહ રાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે વિશ્વભરમાં નશીલા પદાર્થો અને માદક પદાર્થોના સેવનનો વ્યાપ વધ્યો છે. ત્યારે રાજ્યનું યુવાધન આ માર્ગે જાય નહી તે માટે રાજ્ય સરકારે મક્કમ નિર્ધાર કર્યો છે. રાજ્યમાં નશીલા પદાર્થો અને માદક દ્રવ્યોના વેચાણ – હેરાફેરીની પ્રવૃત્તિને ડામવા માટે સી.આઇ.ડી. ક્રાઇમના નાર્કોટીક્સ સેલ દ્વારા રાજ્યમાં પ્રથમ કેસ તરીકે વિસનગરના ફકીર અમીનાબાનુની અટકાયત કરીને સાબરમતી જેલમાં મોકલી અપાયાં છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ફકીર અમીનાબાનુ આ પ્રવૃત્તિ સાથે જોડાયેલ હોઇ તેમની સામે એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ અગાઉ પણ મહેસાણા જિલ્લાના વિસનગર પોલીસ સ્ટેશન ખાતે ત્રણ જેટલા ગુનાઓ નોધાયા છે. જેમાં એક ગુનામાં તેઓને ૧૦ વર્ષની સજા થયેલ હતી.

નાર્કોટીક્સ અંગેના આવા કેસો કરવાની સત્તા અત્યાર સુધી કેન્દ્ર સરકારના નાર્કોટીક્સ કંટ્રોલ બ્યુરો (NCB) પાસે જ હતી. કેન્દ્ર સરકારની સૂચનાનુસાર રાજ્ય સરકાર દ્વારા Prevention of illicit Traffic in Narcotic Drug and Psychotoropic Substances Act હેઠળના આવા પ્રકારના કેસો સ્ટેટ CID ક્રાઇમને દાખલ કરવાની સત્તાઓ આપવામાં આવી છે ત્યારે હવેથી આવા કેસો રાજ્યની પોલીસ દ્વારા પણ કરાશે. હવેથી રાજ્યમાં નશીલા પદાર્થોનું વેચાણ અને હેરાફેરી અટકાવવા માટે રાજ્ય સરકાર દ્વારા કડક હાથે કાર્યવાહી કરવામાં ખૂબ જ અનુકૂળતા રહેશે અને આવા તત્વોને ડામવામાં રાજ્ય સરકારને ઝડપથી સફળતા મળશે.

ગુજરાત એક વિકસિત રાજ્ય હોવાના કારણે રોડ, રેલ અને હવાઇ માર્ગે દેશના વિવિધ વિસ્તારથી જોડાયેલ છે તથા ઔદ્યોગિક રીતે વિકસિત હોવાના કારણે રાજ્યમાં રોજગારી અર્થે અને નાનામોટા ધંધાર્થે દેશના અન્ય  ભાગોમાંથી નાગરિકો ગુજરાતમાં નાનામોટા શહેરોમાં આવતાં હોય છે. અને તેઓ પૈકી કેટલાક લોકો પોતાના મૂળ વતનના ગુન્હેગારો સાથે નશીલા પદાર્થો અને માદક દ્રવ્યોની હેરાફેરી સાથે સંકળાયેલા હોય છે ત્યારે નાર્કોટીક્સ સેલ દ્વારા આ કામગીરી કરાઇ છે જે સરાહનીય છે. રાજ્યમાં નાર્કોટીક્સનું વેચાણ અને હેરાફેરી અટકે તે માટે તમામ પોલીસ કમિશ્નર, તમામ જિલ્લા પોલીસ અધિક્ષકને નશીલા પદાર્થો અને માદક દ્રવ્યોની હેરાફેરી કરવાવાળા ઇસમો વિરુદ્ધ કડક અટકાયતી પગલાં લેવા PIT NDPS એક્ટ હેઠળ દરખાસ્તો મોકલવા પણ સૂચના આપવામાં આવી છે.