ઓસ્ટ્રેલિયામાં અમદાવાદના યુવકની કરપીણ હત્યા

ઓસ્ટ્રેલિયાઃ ઓસ્ટ્રેલિયામાં 25 વર્ષના ગુજરાતી યુવાનની કરપીણ હત્યા કરવામાં આવી છે. અમદાવાદમાં રહેતો મૌલિન રાઠોડ નામનો વિદ્યાર્થી અમદાવાદથી ઓસ્ટ્રેલિયા અભ્યાસ કરવા માટે ગયો હતો. મૌલિન ડેટિંગ વેબસાઈટની મદદથી એક કિશોરીને મળ્યો અને ત્યારબાદ તે કિશોરીને મળવા માટે મૌલિન નામનો આ વિદ્યાર્થી તેના ઘરે ગયો હતો. ત્યારબાદ તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલી હાલતમાં મળી આવ્યો હતો. ત્યારે આ વિદ્યાર્થીની હત્યા આખરે કોણે કરી તે દીશામાં ઓસ્ટ્રેલિયાની પોલીસ તપાસ કરી રહી છે જો કે પોલીસે આ કેસમાં કિશોરીની ધરપકડ કરી લીધી છે.

મૌલિન જે કિશોરીને મળવા ગયો હતો તેના જ ઘરેથી મૌલિન ગંભીર રીતે ઈજાગ્રસ્ત મળી આવ્યો હતો ત્યારબાદ મૌલિનને સારવાર અર્થે સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યું થયું હતું. સમગ્ર કેસની વિગત અંગે જો વાત કરવામાં આવે તો મૌલિન રાઠોડ એક ડેટિંગ સાઈટની મદદથી 19 વર્ષીની આ કિશોરીના સંપર્કમાં આવ્યો હતો અને ત્યારબાદ બંન્ને વચ્ચે મીત્રતા થતા તે ઓસ્ટ્રેલિયાના સ્થાનિક સમય અનુસાર રાત્રે નવ વાગ્યે કિશોરીને મળવા માટે કિશોરીના ઘરે ગયો હતો અને ત્યાર બાદ શું ઘટના ઘટી તે અંગે કોઈને ખ્યાલ નથી પરંતુ કિશોરીના ઘરેથી મૌલિન ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યો હતો.  

પરંતુ અહિંયા નોંધનીય બાબત એ છે કે કિશોરીના ઘરેથી જ ઈમરજન્સી સેવાને કોલ કરવામાં આવ્યો હતો. ઈમરજન્સી સેવાની ટીમ જ્યારે કિશોરીના ઘરે પહોંચી ત્યારે મૌલિન ગંભીર રીતે ઘાયલ સ્થિતીમાં ત્યાં પડ્યો હતો. ત્યારે પોલીસે ત્યાં પહોંચી તુરંત જ કિશોરીની ધરપકડ કરી લીધી હતી.

પોલીસે કિશોરી સામે મોતના ઇરાદા સાથે ગંભીર ઇજા પહોંચાડવાનો કેસ નોંધ્યો હતો પરંતુ ત્યારબાદ હોસ્પિટલમાં સારવાર દરમિયાન યુવકનું મૃત્યું થતા હત્યાની કલમ પણ ઉમેરવામાં આવી છે.

મૌલિનના માતા પિતા અમદાવાદમાં રહે છે અને મૌલિન તેના માતાપિતાનું એકનું એક સંતાન હતો, તે ચાર વર્ષ પહેલા અભ્યાસ માટે ઓસ્ટ્રેલિયા આવ્યો હતો. મૌલિનના માતાપિતા અમદાવાદના અંજલી ચાર રસ્તા નજીક પ્રભુવન એપાર્ટમેન્ટમાં રહે છે. મૌલિન સાડા ત્રણ વર્ષ પહેલા માસ્ટર ઓફ એકાઉન્ટિંગનો અભ્યાસ કરવા માટે ઓસ્ટ્રેલિયા ગયો હતો.

મૌલિનના પરિવારને સમગ્ર ઘટના અંગે જાણ થતા આખો પરિવાર અત્યારે શોકના દરિયામાં ગરકાવ થઈ ગયો છે. તો મૌલિનના માતાપિતાએ વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજનો સંપર્ક સાધીને તેના મૃતદેહને વહેલામાં વહેલી તકે અમદાવાદ પહોંચાડવામાં આવે તેવી માંગણી કરી છે.