30 જાન્યુઆરીએ ગાંધીનિર્વાણદિનઃ બે મિનિટ મૌન પાળી શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાશે

ગાંધીનગર-30 જાન્યુઆરી 1948ના દિવસે નિર્વાણ પામેલાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની સ્મૃતિમાં દેશભરમાં શહીદવીરોને વિશેષ શ્રદ્ધાંજલિ અર્પણ કરાશે. ભારતના સ્વાતંત્ર્યસંગ્રામમાં જે શહીદવીરોએ પોતાના પ્રાણનું બલિદાન આપ્યું છે તેવા શહીદોની સ્મૃતિમાં ૩૦મી જાન્યુઆરી, ર૦૧૮ને મંગળવારના રોજ શહીદ દિને સવારે ૧૧.૦૦ કલાકે બે મિનિટ મૌન પાળી સ્વદેશ માટે પ્રાણની આહુતિ આપનારા શહીદવીરો પ્રત્યેનું ઋણ અદા કરાશે. સમગ્ર દેશમાં શકય હોય તેટલા પ્રમાણમાં કામકાજની અને વાહનવ્યવહારની ગતિને આ બે મિનિટ સુધી બંધ રાખવા ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા જણાવાયું છે.મંગળવાર તા. ૩૦મી જાન્યુઆરી, ર૦૧૮ના રોજ સવારે ૧૦.પ૯ થી ૧૧.૦૦ કલાક સુધી સાયરન વગાડાશે. સાયરન બંધ થાય કે તરત જ જયાં કાર્ય કરતા હોય તેવા બધા જ સ્થળોએ કામ કરનાર સૌ પોતપોતાની જગ્યાએ શાંત ઉભા રહી, શકય હોય તો ભેગા મળી, મૌન પાળે, જયાં શકય હોય ત્યાં વર્કશોપ, કારખાના અને કચેરીઓનું કામકાજ બંધ રાખવામાં આવે. આકાશવાણી બે મિનિટ પોતાના કાર્યક્રમ બંધ રાખે અને રસ્તાઓ પરના વાહનવ્યવહાર શકય હોય ત્યાં સુધી થોભે તે જોવા વિનંતી કરવામાં આવી છે. સાથે સાથે ૧૧.૦૦ વાગે ઉપડતી ટ્રેનો અને વિમાનોને તેમના મથકે બે મિનિટ માટે થોભે તે માટે જોવા પણ વિનંતી કરાઇ છે. મૌનનો સમય પૂરો થયો છે એમ બતાવવા બરાબર ૧૧.૦ર થી ૧૧.૦૩ કલાક સુધી સાયરન ફરીથી વાગશે ત્યારે રાબેતા મુજબનું કામકાજ ફરીથી શરૂ કરવું. જે સ્થળોએ સાયરન અથવા અન્ય કોઇ સંકેતની વ્યવસ્થા નથી ત્યાં સવારે ૧૧.૦૦ કલાકે બે મિનિટ મૌન પાળવા માટે સંબંધિતોને જાણ કરતા આદેશો સંબંધિત તમામ કચેરીઓએ બહાર પાડવાના રહેશે.

ગાંધીનગરમાં પણ સાયરનની વ્યવસ્થા કરવામાં આવી છે તે મુજબ સચિવાલય, સરકીટ હાઉસ, પ્રેસ, વિધાનસભા-સચિવાલય અને પાટનગર યોજના ભવન ઉપર સાયરનો મુકવામાં આવી છે તે સાયરનો પણ ઉપર મુજબના સમયે વગાડવામાં આવશે.શહીદવીરો પ્રત્યે મૌન પાળવાના અવસરને ગૌરવશાળી બનાવવામાં સહયોગ કરવા અને સ્વદેશ માટે પ્રાણની આહુતિ આપનાર શહીદો પ્રત્યેનું ઋણ અદા કરવા સહકાર મળશે એવી શ્રદ્ધા સાથે રાજય સરકાર દ્વારા અપીલ કરવામાં આવે છે.