બજેટસત્રઃ સરકારને ઘેરવા મુદ્દા નક્કી કરશે પ્રદેશ કોંગ્રેસ, તમામ MLAની બેઠક…

અમદાવાદ– લોકસભાની ચૂંટણીમાં કારમો પરાજય મેળવવાની સાથે કોંગ્રેસ ગુજરાતની 26માંથી એક પણ બેઠક મેળવી શકી નથી. હાર બાદ કોંગ્રેસે હવે ફરી બેઠી થવાના પ્રયાસો શરુ કરી દીધા છે. જેને લઈને આગામી 2 જૂનના રોજ કોંગ્રેસના તમામ ધારાસભ્યોની પ્રદેશ કાર્યાલય ખાતે બેઠક મળવા જઈ રહી છે. આ બેઠકમાં પ્રદેશ કોંગ્રેસ હારનું મનોમંથન કરવા તેમ જ વિધાનસભા આગામી બજેટ સત્રમાં સરકારને ઘેરવા રણનીતિ ઘડશે. આગામી વિધાનસભાના સત્ર દરમિયાન સરકારને ભીંસમાં લેવાનો પ્લાન પણ તૈયાર કરવામાં આવશે.

મહત્વનું છે કે, તાજેતરમાં જ થયેલી સુરત આગની ઘટના પડધા રાષ્ટ્રીય સ્તરે પર પડ્યાં છે ત્યારે કોંગ્રેસ વિધાનસભાના મળનારા સત્રમાં ફાયર સેફ્ટી સહિતના મુદ્દે સરકારને ભીંસમાં લેવા રણનીતિ ઘડી શકે છે. આ ઉપરાંત આ બેઠકમાં  લોકસભાના પરિણામ અંગે વિધાનસભા બેઠક દીઠ પણ ચર્ચા થઈ શકે છે. સાથે જ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે અત્યારથી જ તૈયારી કરવા મુદ્દે ચર્ચા થઈ છે.