આરોપીઓનું સરઘસ કાઢવા પર પ્રતિબંધ મૂકતી ગુજરાત હાઈકોર્ટ

અમદાવાદ- ગુજરાત હાઈકોર્ટે આરોપીઓના જાહેરમાં સરઘસ કાઢવા પર પ્રતિબંધ મૂક્યો છે. આથી હવે પોલીસ જે તે વિસ્તારમાં રીઢા ગુનેગારના સરઘસ નહીં કાઢી શકે, અને રસ્તા વચ્ચે ઉઠકબેઠક કરતાં આરોપીઓના દ્રશ્યો જોવા નહીં મળે. અને આવું કરનાર પોલીસ અધિકારીઓ સામે શિક્ષાત્મક પગલાં લેવા હાઈકોર્ટ જણાવ્યું છે.

રીઢા આરોપીઓનું સરઘસ કાઢી જાહેરમાં માર મારવાની પોલીસ કાર્યવાહી સામે વર્ષ 2018માં હાઈકોર્ટમાં દાખલ કરાયેલી જાહેરહિતની અરજી થઈ હતી, જે મુદ્દે મંગળવારે કાર્યકારી ચીફ જસ્ટીસ અનંત દવે અને બીરેન વૈષ્ણવની ખંડપીઠે પોલીસ દ્વારા આરોપીઓને ઉઠકબેઠક, કૂકડો બનાવવો, સરઘસ કાઢવા વગેરે પ્રવૃતિ પર તાત્કાલિક ધોરણે પ્રતિબંધ મુક્યો છે. એટલું જ નહીં સરકારે કાયદો હાથમાં લેનાર પોલીસ અધિકારીઓ વિરુદ્ધ શિક્ષાત્મક પગલાં લેવાનો આદેશ કર્યો છે.

ગુજરાત હાઈકોર્ટમાં કેસની સુનાવણી દરમિયાન ચીફ જસ્ટીસ અનંત દવે અને બીરેન વૈષ્ણવની ખંડપીઠે સરકારને

પ્રતીકાત્મક તસવીર

કાયદાનો ભંગ કરનાર જવાબદાર અધિકારીઓ વિરુદ્ધ પગલાં લેવાનો આદેશ આપ્યો હતો, જે મુદ્દે રાજ્ય સરકારે ખાતરીપૂર્વક પગલાં લેવા કહ્યું છે. ગુજરાત સરકારે હાઈકોર્ટને જણાવ્યું કે રાજ્યમાં આરોપીઓના સરઘસને લઈને 10 જેટલાં વિવાદાસ્પદ કિસ્સામાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવશે. સંડોવાયેલા તમામ પોલીસ અધિકારીઓ વિરૂદ્ધ ખાતાકીય તપાસ અને કારણદર્શક નોટિસ આપવામાં આવશે.

લોકોમાં અસામાજિક તત્વો અને માથાભારે ગુંડાઓનો ખોફ ઓછો થાય એવા હેતુ સાથે પોલીસ દ્વારા આરોપીઓને દોરડાથી બાંધીને જાહેરમાં સરઘસ ફેરવતાં હતાં. પણ હાઈકોર્ટમાં આરોપીઓના બંધારણીય અધિકારીઓનું ઉલ્લઘંન થતું હોવાની જાહેરહિતની અરજી દાખલ કરવામાં આવી હતી. જ્યાર બાદ હાઈકોર્ટે રાજ્યના પોલીસ વડા અને ઉચ્ચ પોલીસ અધિકારીઓને આ મામલે સ્પષ્ટીકરણ માગ્યું હતું. ત્યારબાદ ડીજીપીએ સરઘસ કાઢવાની પ્રવૃતિ પર અકુંશ મુકવાનો પરિપત્ર જાહેર કર્યો હતો.