ખેડૂતો માટે રાહતના સમાચાર, 20 દિવસ મળશે આટલું નર્મદાનીર…

ગાંધીનગર-  વરસાદ ખેંચાતા રાજ્યભરના 1 લાખ 27 હજાર એકર વિસ્તારના ઉભા પાકને નર્મદાનું પાણી આપવાનો  રાજ્ય સરકારે ફરી એક વખત ખેડૂતલક્ષી નિર્ણય કર્યો છે. ખેતરોમાં ઉભા પાકને બચાવવા નર્મદા બંધનું સિંચાઇનું પાણી આપવા આગામી ૨૦ દિવસ સુધી ૨૦,૦૦૦ ક્યૂસેક પાણી છોડવાનો સરકારે નિર્ણય કર્યો છે.

નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે જણાવ્યું કે, નર્મદા બંધમાં મર્યાદીત પાણી હોવા છતાં કરકસર ભર્યો ઉપયોગ કરીને આગામી સમયમાં પીવાના પાણીની સંભવીત જરૂરીયાતને ધ્યાને લઇને સિંચાઇ માટે આ પાણી છોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

વધુમાં નીતિન પટેલે જણાવ્યું કે, સુજલામ્ સુફલામ્ યોજના અંતર્ગત ૧૧ પાઈપલાઈન મારફતે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, મહેસાણા, પાટણ અને બનાસકાંઠામાં આવેલ લગભગ ૪૦૦ તળાવો, સુજલામ્ સુફલામ્ નહેર અને ધરોઈ સિંચાઈ યોજનાના પિયત વિસ્તારમાં ક્રમશ: નર્મદાનું પાણી અપાશે. જેનાથી ૪૦,૦૦૦ એકર જેટલા વિસ્તારને સિંચાઈનો લાભ મળશે. આ ઉપરાંત ફતેવાડી અને ખારીકટ પિયત વિસ્તારમાં નર્મદાના પાણી આપવામાં આવશે. જેમાં અમદાવાદ જિલ્લાના દસક્રોઈ, ધોળકા, સાણંદ અને બાવળા તાલુકામાં આશરે ૬૨,૦૦૦ એકર વિસ્તારને લાભ મળશે.

આ ઉપરાંત સૌરાષ્ટ્ર વિસ્તારની સૌની યોજના દ્વારા નર્મદાના ૧૨૦૦ ક્યુસેક પાણીનું વહન કરીને આજી-૧, મચ્છુ-૨, વડોદ, આકડીયા, ભીમદાદ ગોમા જેવા બંધોમાં ક્રમશ: નર્મદાનું પાણી પાક બચાવવા માટે આપવામાં આવશે. જેનાથી આશરે ૨૫,૦૦૦ એકર વિસ્તારને સિંચાઈનો લાભ મળશે. આ ઉપરાંત રાજકોટ અને મોરબી શહેરને પીવાના પાણીનું સંકટ ટળશે.

રાજ્યની પીવાની જરૂરીયાત માટે સમગ્ર જળ વર્ષમાં એટલે કે, જુલાઇથી જુન સુધી અંદાજે ૧.૫ મીલીયન એકર ફુટ પાણીની જરૂરીયાત રહે છે. જે માટે રાજ્ય સરકારે પુરતુ આયોજન કરેલ છે. અને આગામી ચોમાસા સુધી પીવાના પાણીની કોઇ સમસ્યા નથી.

ઉલ્લેખનીય છે કે, રાજયની જીવાદોરી સમાન સરદાર સરોવર બંધમાં હાલ પાણીનું લેવલ ૧૨૫.૮૨ મીટર છે અને લગભગ ૧.૮૪ મીલીયન એકર ફુટ પાણી એટલે કે ૩૯ ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. આ ઉપરાંત મધ્યપ્રદેશના ત્રણ મુખ્ય બંધો બાર્ગી, તવા અને ઈન્દીરાસાગરમાં લગભગ ૧૦.૯૩ મીલીયન એકર ફુટ પાણીનો જીવંત સંગ્રહ છે.