3 માસમાં વીજબિલ ભરી દો, 50 ટકા માફ

ગાંધીનગર– ગુજરાત સરકારે લીધેલા એક નિર્ણય મુજબ રાજ્યમાં કાયમી ધોરણે કપાયેલાં વિવિધ કક્ષાના વીજજોડાણો વાળા ગ્રાહકોની બાકી લેણા રકમ પ્રત્યે ઉદાત્ત અભિગમથી માફી યોજના ર૦૧૭ અન્વયે જાહેરાત કરી છે.ઘરવપરાશના વીજ ગ્રાહકો -બીપીએલ અને એપીએલ- જો ૩ માસની અંદર મુદ્દલની રકમ ભરી દે તો મુદ્દલની રકમમાં પ૦ ટકા માફી અને સંપૂર્ણ વ્યાજ માફી અપાશે.

ખેતીવાડી ગ્રાહકોને પણ આ જ પ્રકારે જો ૩ માસની અંદર મુદ્દલની રકમ ભરી દે તો મુદ્દલની રકમમાં પ૦ ટકા માફી અને સંપૂર્ણ વ્યાજ માફીનો લાભ સરકાર આપશે. અન્ય તમામ કક્ષાના વીજ ગ્રાહકો જો ૩ માસની અંદર મુદ્દલની સંપૂર્ણ રકમ ભરે તો વ્યાજમાં પુરેપુરી માફી મળશે.

રાજ્યના અંદાજે ૬ લાખ કરતા વધુ વીજ ગ્રાહકોને આ યોજનાનો લાભ મળશે અને લગભગ રૂ.૧૧૩ કરોડથી વધુની રકમની વ્યાજ માફી અપાશે. આ નિર્ણયથી પ્રજાજનોને પોતાના નામે વીજજોડાણ મળશે. કોર્ટમાં કરવામાં આવેલ દિવાની દાવાઓ પાછા ખેંચી લેવામાં આવશે. તેમને પાછલી બાકી રકમની ચુકવણી સરળ હપ્તે કરવાની સવલત મળી શકશે તેમજ આ યોજના હેઠળ બીપીએલ અને નોન બીપીએલ ઘર વપરાશના ગ્રાહકો તેમજ ખેડૂતો બાકી વીજ બીલની પૂરેપૂરી રકમ નહીં પરંતુ પ૦ ટકા રકમ ભરી જવાબદારીમાંથી મુકિત મેળવી શકશે.