સરકારે કરી 146 જાતિઓ માટે રૂા.150 કરોડની જોગવાઇ

ગાંધીનગર– સામાજિક ન્યાય અને આધિકારીતા વિભાગની અંદાજપત્રીય માગણીઓ વિધાનસભા ગૃહમાં બહુમતીથી પસાર કરવામાં આવી હતી. આ સંદર્ભે સરકારે વિશદ માહિતી આપી હતી.ગત વર્ષ કરતાં રૂા.૧૦૩૭ કરોડની વધુ જોગવાઇ

  • અત્યાચારના કેસો ઝડપી નિકાસ માટે ૧૬ જિલ્લાઓમાં એકસ્‍કયલુઝીવ સ્‍પેશીયલ કોર્ટ તેમજ ૨૭ ડેઝીગ્નેટેડ સ્પેશ્યિલ કોર્ટની રચના
  • ૧૦,૫૦૦ વિદ્યાર્થીઓને સમરસ છાત્રાલયમાં ફાઇવ સ્ટાર જેવી શૈક્ષણિક સુવિધાઓ
  • પ્રાથમિક શાળાનાં વિદ્યાર્થીઓને રૂા.૩૦૦થી ગણવેશ સહાયના સ્થાને રૂા.૬૦૦ અપાશે
  • રૂા.૫ કરોડનાં ખર્ચે દાહોદ, વ્યારા અને વેરાવળ ખાતે ત્રણ નવા આંબેડકર ભવનો નિર્માણ પામશે
  • ધોરણ-૯માં ભણતી ૧.૬૦ લાખ કન્યાઓને વિના મૂલ્યે સાયકલ અપાશે
  • વૃદ્ધ પેન્શન સહાય – દિવ્યાંગ સહાય યોજના હેઠળ રાજ્યનાં ૭ લાખ લાભાર્થીઓને લાભ અપાશે.

ગરીબો, દલિતો, વંચિતોનાં સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છે. તેથી જ ગત વર્ષ કરતાં રૂા.૧૦૦૦ કરોડ વધુ ફાળવાયા છે.

વિધાનસભા ગૃહમાં સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ હેઠળની અનુસૂચિત જાતિ કલ્યાણ માટેની ૧૦૬૫.૩૫ કરોડ સહિત અનુસૂચિત જાતિ પેટા યોજના માટે રૂા.૪૮૮૬.૦૫ કરોડ, આર્થિક પછાત વર્ગો સહિત બક્ષીપંચ જાતિ કલ્યાણ માટે રૂા.૧૮૩૬.૪૦ કરોડ અને સમાજ સુરક્ષા માટે રૂા.૭૩૫.૯૨ કરોડ મળી કુલ રૂા.૭૪૫૮.૪૪ કરોડની માંગણીઓ બહુમતીથી પસાર કરવામાં આવી છે. આ માગણીઓ ગત વર્ષ કરતાં રૂા.૧૦૩૭.૧૨ કરોડ વધુ છે.

આ સરકારે દલિતોની સુરક્ષાઓની વિશેષ તકેદારી રાખી છે. તેમની સુરક્ષા તેમજ તેમને સમયસર ન્યાય મળે તે માટે અત્યાચાર ધારાનાં પ્રમાણીત અમલ માટે દેશભરમાં અગ્રેસર કહેવાય તેવા પગલાં લીધા છે. કોર્ટ કેસથી નિકાલ સુધી ફરીયાદને મદદરૂપ થવા ૧૬ જિલ્લાઓમાં એકસ્‍કયલુઝીવ સ્‍પેશીયલ કોર્ટ અને ૨૭ ડેઝીગ્નેટેડ સ્પેશ્યલ કોર્ટ કુલ મળી ૪૩ ખાસ કોર્ટની રચના કરવામાં આવી છે. એટલું જ નહિં ફરિયાદને માર્ગદર્શન મળી રહે અને મદદરૂપ થવા ૪૫૯ કેસ ઓફિસરોની નિમણૂંક કરી છે. મંત્રીશ્રીએ જણાવ્યુ કે ખૂન-બળાત્કાર જેવા ગંભીર કેસોમાં ફરિયાદીને સરકારી વકીલની સેવા ઉપરાંત ખાનગી વકીલ રાખવા રૂા.૭૫૦૦૦ની સહાય યોજના અમલી બનાવી છે.

અનુસૂચિત જાતિનાં કોઇપણ બાળક શિક્ષણની વંચિત ન રહી જાય તે માટે રાજ્ય સરકારે ખાસ તકેદારી રાખી છે. સમગ્ર ન્યાયનું સમગ્ર દેશમાં શ્રેષ્ઠ ઉદાહરણ સામાજિક સમરસતા સાથે ગુજરાતમાં ૬ સ્થળોએ બનેલા સમરસ છાત્રાલયો છે. આ સમરસ છાત્રાલયોમાં ૧૦,૫૦૦ વિદ્યાર્થીઓને ફાઇવ સ્ટાર હોટલ જેવી સુવિધાઓ આપવામાં આવી રહી છે. વર્ષે એક વિદ્યાર્થી દીઠ રૂા.૬૫,૦૦૦ ખર્ચ કરી દર વર્ષે રૂા.૬૮ કરોડનાં ખર્ચે ઉત્તમ વ્યવસ્થા આપવામાં આવી રહી છે.

દલિતો અને વંચિતો માટે જીવનભર કાર્યરત રહેનાર ડો.આંબેડકરની કાયમી સ્મૃતિ માટે ગુજરાતમાં ૧૮.૨૯ કરોડના ખર્ચે ૧૯ આંબેડકર ભવનો બનાવી દીધા છે. આ પરંપરાને ચાલુ રાખી દાહોદ, વ્યારા, વેરાવળ ખાતે રૂા.૫ કરોડના ખર્ચે વધુ ત્રણ નવા આંબેડકર ભવનો બાંધવામાં આવશે.લઘુમતીઓ માટેનાં પ્રિ-મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના હેઠળ છેલ્લા ૧૦ વર્ષમાં રૂા.૫૧.૮૧ કરોડની જોગવાઇ સામે રૂા.૬૮.૧૦ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે.

SEBC, આર્થિક અને પછાત વર્ગો, લઘુમતી અને વિચરતી-વિમુક્ત જાતિનાં પ્રાથમિક શાળાનાં વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ માસિક રૂા.૧૨૫ થી વધારીને રૂા.૪૦૦ એટલે કે ૨૨૦ ટકાનો વધારો કરાયો. જેનો ૧૦,૦૦૦થી વધુ વિદ્યાર્થીઓને લાભ થશે. ગુજરાત પછાત વર્ગ અલ્પ સંખ્યક, નાણાં, ગોપાલક વિકાસ, ઠાકોર અને કોળી વિકાસ, વિચરતી વિમુક્ત જાતિ વિકાસ જેવા નિગમોને ધિરાણ અને લોન આપવા બજેટમાં રૂા.૨૫ કરોડની જોગવાઇ કરાઇ છે. બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમને રાજ્યનાં ફંડ માંથી સીધા ધિરાણ માટે લોન આપવા માટે બજેટમાં રૂા.૫૦૦ કરોડની જોગવાઇ કરી છે. ૩૩ આદર્શ નિવાસી શાળાઓનાં વિદ્યાર્થીઓને ગણવેશ સહાય રૂા.૩૦૦ થી વધારીને રૂા.૬૦૦ કરવામાં આવી છે.

વેરાવળ અને દેવભૂમિ દ્વારકા ખાતે કન્યા તેમજ ઉના પ્રભાસ પાટણ, રાજુલા અને મહુવા ખાતે ચાલતા કુમાર છાત્રાલયોના આધુનિકરણ માટે પ્રથમ વર્ષે રૂા.૧૧.૫૦ કરોડની જોગવાઇ કરાઇ છે. રૂા.૫૫ કરોડનાં ખર્ચે ધોરણ-૯માં ભણતી ૧.૬૦ લાખ કન્યાઓને વિના મૂલ્યે સાયકલ અપાશે. બક્ષીપંચનાં યુવાનો વર્ગ-૧ થી ૩ની સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપી સરકારી નોકરી મેળવી શકે તે હેતુથી વિદ્યાર્થી દીઠ કોચીંગ માટે રૂા.૨૦ હજારની સહાયની જોગવાઇ કરાઇ છે. પંડીત દિનદયાલ ઉપાધ્યાય આવાસ યોજનામાં વિકસતી જાતિનાં ૧૫ હજાર લાભાર્થીઓને મકાન બાંધવા માટે કુલ રૂા.૬૫ કરોડની જોગવાઇ કરાઇ છે. ૭૭૪ છાત્રાલયો અને ૧૮૮ આશ્રમશાળાઓનાં અંદાજે ૭૩,૦૦૦ વિદ્યાર્થીઓને શિક્ષણ સાથે વિનામૂલ્યે રહેવા – જમવાની સુવિધા માટે રૂા.૧૬૨ કરોડની ફાળવણી કરાઇ છે.

વિકસતી જાતિની ૧૮૨૫૦ કન્યાઓનાં મામેરા માટે રૂા.૧૮.૨૫ કરોડ વૃદ્ધો નિરાધાર તથા દિવ્યાંગ કલ્યાણ માટે કામ કરતાં સમાજ સુરક્ષા ખાતા હેઠળ રૂા.૭૩૫.૯૨ કરોડ જેલમાં સજા ભોવતા પાકા કામનાં કેદીઓનાં પરિવારજનોને અપાતી સહાય રૂા.૧૦,૦૦૦ થી વધારીને રૂા.૨૫,૦૦૦ કરાઇ. રાજ્યમાં માનસિક બીમાર પુરૂષો માટે અમદાવાદ ખાતે નવીન પુનઃસ્થાપન ગૃહ શરૂ કરવામાં આવશે. ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના હેઠળ ૬૦ થી ૭૯ વય જુથનાં ૫,૫૦,૦૦૦ વૃદ્ધોને રૂા.૫૦૦ની સહાય માટે રૂા.૩૭૫ કરોડ, નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના માટે અંદાજે ૧ લાખ લાભાર્થીઓને રૂા.૫૦૦ની સહાય માટે રૂા.૭૦ કરોડ, સંત સુરદાસ યોજનામાં ૦ થી ૬૪ વર્ષનાં અંદાજે ૪૮,૦૦૦ દિવ્યાંગોને રૂા.૬૦૦ સહાય આપવા રૂા.૨૮.૬૪ કરોડની તેમજ વૃદ્ધ પેન્શન અને દિવ્યાંગ સહાય યોજના હેઠળ રાજ્યનાં ૭ લાખ લાભાર્થીઓ માટે રૂા.૪૭૪ કરોડની માતબર રકમ આ સરકારે ફાળવી છે

વલસાડ, ભાવનગર, જામનગર, મહેસાણા અને ગાંધીનગર જિલ્લામાં નવા ઓપન શેલ્ટર હોમ શરૂ કરવા રૂા.૧.૩૫ કરોડ, વડોદરા અને રાજપીપળા ખાતે બે નવા ચિલ્ડ્રન હોમ શરૂ કરવા રૂા.૯.૩૭ લાખ, રાજ્યનાં ૩.૪૦ લાખ દિવ્યાંગોને એસ.ટી. બસમાં વિના મૂલ્યે મુસાફરી માટે બજેટમાં રૂા.૩૪ કરોડની જોગવાઇ કરાઇ છે. સુરતનાં બારડોલી ખાતે અનાથ, નિરાધાર બાળકો માટે ઓપન સેન્ટ્રલ હોમ શરૂ કરવામાં આવશે

સામાજિક શૈક્ષણિક પછાત વર્ગો, આર્થિક રીતે પછાત વર્ગો, વિચરતી વિમુક્ત જાતિઓ તેમજ લઘુમતીઓના વિકાસ માટે ચાલુ યોજના માટે રૂા.૧૧૪૯ કરોડ તેમજ નવી યોજના માટે રૂા.૬૮૬ કરોડ મળી ને કુલ-૧૮૩૬ કરોડની વધુ રકમ ફાળવવામાં આવી છે. રાજ્યમાં બિન અનામત વર્ગોનાં અંદાજે ૫૮ જેટલી જ્ઞાતિઓનાં શૈક્ષણિક તથા આર્થિક રીતે નબળા કુટુંબો માટે રૂા.૫૦૬ કરોડની જોગવાઇ કરાઇ છે. SEBC હેઠળ આવતી વિવિધ ૧૪૬ જાતિઓનાં વિકાસ માટે અંદાજે રૂા.૧૫૦ કરોડ ફાળવવામાં આવ્યા છે.