ગુજરાત સરકારઃ આગામી વર્ષ માટે રૂ.૪૦૦૭ કરોડની વીજ સબસિડી અપાશે

ગાંધીનગર- વિધાનસભામાં ઊર્જાપ્રધાન સૌરભ પટેલે જણાવ્યું છે કે, સરકારની ખેડૂત હિતલક્ષી નીતિના કારણે ખેડૂતો સમૃદ્ધ થયાં છે. બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં ૨૫,૬૦૪ ખેડૂતોને વીજ કનેકશનો પૂરા પડાયાં છે.

બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં કૃષિ વિષયક જોડાણના પ્રશ્નના પ્રત્યુત્તરમાં તેમણે કહ્યું કે ખેડૂતોને વીજદરમાં રાહત આપવા ગુજરાત ઇલેકટ્રીસિટી રેગ્યૂલેટરી કમિશન દ્વારા ભાવવધારો કરવામાં આવે તો પણ ખેડૂતો માટે વીજ દરમાં વધારો કરાતો નથી. ૧.૫ લાખથી વધુ હોર્સ પાવરની મોટર પર ૨,૪૦૦/- હોર્સ પાવર દીઠ વસૂલ કરાય છે. ૭.૫ હોર્સ પાવરથી નીચે હોય તો ૬૬૫ અને ૭.૫ હોર્સ પાવરથી ઉપરની મોટર હોય તો રૂ.૮૦૭ સબસિડી અપાય છે. બંને જિલ્લામાં ૭૦.૪૦ કરોડની રકમ માફ કરવામાં આવી છે.

૧૯૬૦થી ખેડૂતો પાસેથી ઇલેક્ટ્રિસિટી ડ્યૂટી લેવાતી હતી પરંતુ ભાજપ સરકારે ઇલેક્ટ્રિસિટી ડ્યૂટી માફ કરવામાં આવી છે. આ માટે આગામી વર્ષમાં રૂ.૪૦૦૭ કરોડની સબસિડી માટે જોગવાઇ કરી છે.

બનાસકાંઠા જિલ્લામાં ૧૪,૫૫૫ અરજીઓ મળી હતી તે પૈકી ૧,૭૪૫ વીજ જોડાણો આપી દેવાયા છે અને ૧૦,૧૯૭ બાકી છે. તે જ રીતે પાટણ જિલ્લામાં ૨,૩૫૦ અરજીઓ મળી હતી તે પૈકી ૩૮૯ કનેકશન આપી દેવાયા છે અને ૧,૦૯૮ પેન્ડિંગ છે. બંને જિલ્લામાં તત્કાલ વીજ જોડાણ પણ ૧૬-૧૬ આપી દેવાયા છે. આ બંને જિલ્લામાં ગુણવત્તાયુક્ત વીજ પુરવઠો મળી રહે તે માટે ૧૯૩ સબ-સ્ટેશનો છેલ્લા ૧૫ વર્ષમાં જ બન્યાં છે. ખેતી વિષયક વીજ જોડાણ આપવાની પ્રક્રિયા એ સતત ચાલતી પ્રક્રિયા છે. આ હેતુ માટે પ્રતિવર્ષ નવી ઉભી કરવાની થતી માળખાગત સુવિધા, વીજ વિતરણ વ્યવસ્થા અને વીજતંત્ર પર પડનાર બોજો ધ્યાને લઇને પડતર અરજીઓને અગ્રતાક્રમે શક્ય તેટલી ઝડપથી નિકાલ કરીને ખેડૂતોને વીજ કનેકશન પુરા પાડવામાં આવશે તેમ જણાવાયું હતું.

જ્યોતિગ્રામ યોજનામાં પહેલા ગામતળની અંદર યોજનાનો લાભ આપવામાં આવતો હતો. હવે ગામતળની બહાર પણ વીજ જોડાણો આપવાનું નક્કી કરવામાં આવ્યું છે.

ખેડા અને છોટાઉદેપુર જિલ્લામાં જ્યોતિગ્રામ યોજના હેઠળ વીજ કનેક્શનો પરના પ્રશ્નના ઉત્તરમાં જણાવ્યું હતું કે, ૩૧/૧૨/૧૭ના છેલ્લા બે વર્ષની સ્થિતિએ ખેડા જિલ્લામાં ૨૬૪૭૨ વીજ કનેક્શનોની મળેલ અરજીઓ પૈકી ૨૩૧૪૬ ને વીજ જોડાણ તેમ જ છોટા ઉદેપુર જિલ્લામાં ૯૧૩૬ અરજીઓ પૈકી ૭૬૩૪ વીજ કનેક્શનો આપવામાં આવ્યાં છે. ગામતળ બહાર તલાટીના ત્રૂટિ પ્રમાણપત્રો તેમ જ આશ્રમ શાળા, આદર્શ છાત્રાલય, ખેતી સાથે સંકળાયેલ ઉદ્યોગો, ગૌ શાળા, દૂધશીત કેન્દ્રો જેવા જાહેર હેતુ માટે પણ ગામતળ બહાર વીજ કનેક્શનો આપવામાં આવે છે. ગામતળ બહાર અપાતાં વીજ જોડાણોમાં જરૂરી પ્રમાણપત્રો ન હોવાથી ખેડા અને છોટાઉદેપુર જિલ્લામાં નામંજૂર કરવામાં આવેલ છે.