ભાવિ પેઢીને 50 વર્ષ સુધી જળ સમૃદ્ધિનો વારસો આપીશુંઃ CM

ગાંધીનગર– મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ સુજલામ સુફલામ જળ અભિયાન આગામી 3 વર્ષ સુધી ચાલુ રાખીને રાજ્યના તમામ તળાવો ઊંડા કરી ભાવિ પેઢીને 50 વર્ષ સુધી જળ સમૃદ્ધિનો વારસો આપવાની સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. મુખ્યપ્રધાને આજે સોમવારે સવારે મુખ્યપ્રધાન નિવાસસ્થાનેથી રાજ્યના 6 જિલ્લામાં ચાલી રહેલા જળ અભિયાન કામોની સમીક્ષા કરતા ગ્રામજનો અને ગ્રામીણ ખેડૂતો પાસેથી આ અભિયાનની સફળતા અને ઉપયોગીતાના પ્રતિભાવોનો પ્રતિસાદ આપતા આ નેમ વ્યક્ત કરી હતી.વિજયભાઈએ વરસાદની મોસમ શરૂ થાય તે પહેલા સુજલામ સુફલામ જળ અભિયાન અનવયે તળાવો ઊંડા કરવા, ચેક ડેમ, નદીમાંથી કાંપ કાઢવા સહિતની જળસંચય કામગીરી જરૂર જણાયે વધુ મશીનરી અને મેન પાવર જોડીને પૂર્ણ કરવા તંત્ર વાહકો અને સહયોગી સંસ્થાઓને સુચન કર્યું હતું.મુખ્યપ્રધાને સુજલામ સુફલામ જળ અભિયાનના કામો 24×7 ચાલુ રાખવા તાકીદ કરતા કહ્યું કે વધુ મશીનરી અને શ્રમદાન દ્વારા જળ અભિયાનના કામો વેગવાન બનાવવામાં સરકાર નાણાંની કોઇ કચાશ નહીં રાખે તેમ સ્પષ્ટ પણે જણાવ્યું હતું. આ કામોમાં વ્યાપક લોક સહયોગ મળી રહ્યો છે તેને તેમણે આવકાર્યો હતો.