વર્લ્ડ ટ્રાઈબલ ડેઃ રાજપીપળામાં 1 અબજના ખર્ચે આદિવાસી મ્યૂઝિયમ બનશે

તાપીઃ તાપી જિલ્લાના નીઝર ખાતે વિશ્વ આદિવાસી દિવસ ઊજવણીમાં મુખ્યપ્રધાન વિજય રુપાણી હાજર રહ્યાં હતાં. આદિવાસી સમાજની વિશાળ ઉપસ્‍થિતિમાં તેમણે આદિવાસી કૂળદેવી યાહા મોગી માતાનું પૂજન કરી, આદિવાસી સમાજના મસીહા બિરસા મુંડાને શ્રદ્ધાંજલિ અર્પી હતી.આ સાથે તેમણે વિશ્વ આદિવાસી દિવસ ઊજવણીના ભાગરુપે રુપિયા 46 લાખના વિવિધ લાભોનું વિતરણ કર્યું  હતું. સાથે રમતગમત, શિક્ષણ, વિદ્યાર્થીઓ, પશુપાલક સહિત વિવિધ પ્રતિભાશાળીઓનું સન્‍માન કર્યું હતું.

રુપાણીએ વિશ્વાસ વ્યકત કર્યો કે, આદિવાસી સંસ્‍કૃતિની વિરાસતના જતન માટે રાજપીપળામાં 100 કરોડના ખર્ચે અલગ મ્‍યુઝિયમ બનાવવાના નિર્ણય સાથે 40 એકર વિસ્‍તારમાં બિરસા મૂંડા આદિવાસી યુનિવસિર્ટીના નિર્માણ સાથે આદિવાસી સંસ્‍કૃતિનું જતન થશે. તેમણે આદિવાસીઓના આઝાદીના ભવ્‍ય ઇતિહાસને વાગોળતાં જણાવ્‍યું હતું કે, સોમનાથ મંદિરની રક્ષા માટે વેગડા ભીલની વીરતા, મહીસાગરના માનગઢમાં ગુરુ ગોવિંદના નેતૃત્‍વમાં 1600 આદિવાસીઓની શહીદી, વિજયનગરના શહીદો, તાત્‍યાભીલ, રૂપા નાયક સહિત આદિવાસી વીરોનું બલિદાન એળે જવા દેશે નહીં. ડાંગના રાજાઓ અંગ્રેજો સામેલ લડ્યાં હતાં. અગાઉની સરકારોએ કયારેય આ વીર સપૂતોને યાદ કર્યા નથી. આ સરકારે અનોખી પરંપરાનો પ્રારંભ કરીને આદિવાસી સંસ્‍કૃતિની વિરાસતને ઊજાગર કરવાનો મહત્‍વનો નિર્ણય કર્યો છે. રાજયના આદિવાસી વિસ્‍તારોમાં વિકાસની પરંપરાને આગળ વધારી છે. ૧૯૬ જંગલના ગામોને રેવન્‍યુ ગામો જાહેર કર્યા છે.

આદિવાસી ક્ષેત્રમાં થયેલા વિકાસની ભૂમિકા આપતાં રુપાણીએ જણાવ્‍યું હતું ૨૦૦૨માં સાત એકલવ્‍ય મોડેલ સ્‍કૂલ હતી, જે આજે ૯૧ છે. ૨૦૦૧ના વર્ષમાં આદિવાસી ક્ષેત્રમાં ૪૭ ટકા શિક્ષણ હતું, જે વધીને ૨૦૧૧માં ૬૨ ટકા થયું છે. દેવમોગરા પરિસરનો રૂા.૧પ કરોડના ખર્ચે વિકાસ આ સરકારે કર્યો છે.પેસા એકટનો ઉલ્લેખ કરીને આદિજાતિપ્રધાન ગણપત વસાવાએ જણાવ્‍યું હતું કે, ગૌણ વન પેદાશના રૂા.૪૦ કરોડ આદિવાસીઓને આપશે. વન અધિકાર હેઠળ ૯૦ હજાર થી વધુ આદિવાસીઓને ૧૩ લાખ એકર જમીન આપી છે. આદિવાસીઓના ખોટા પ્રમાણપત્રો મેળવનારા સામે કડકમાં કડક કાયદો દેશભરમાં પ્રથમ ગુજરાતે બનાવ્‍યો છે. જેમાં ત્રણ વર્ષની સજાની જોગવાઇ છે.