ગુજરાતઃ 6 ઓકટોબરથી ‘કરુણા એમ્બ્યૂલન્સ-૧૯૬૨’ સેવાનો આરંભ

ગાંધીનગર– ઇજાગ્રસ્ત પશુપક્ષીઓની સારવાર માટે ચલાવાયેલા ‘કરૂણા અભિયાન’ ને વ્યાપક સફળતા મળી હતી. આ સફળતાથી ઉત્સાહિત સરકારે હવે ‘કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ-૧૯૬૨’ સેવાનો આરંભ કરી રહી છે.પશુપક્ષીઓને સમયસર સારવાર મળી રહે તે આશયથી શરૂ કરવામાં આવનાર ‘કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ’ સેવાનો રાજ્યવ્યાપી શુભારંભ  આવતીકાલે ૬ઠ્ઠી ઓકટોબરે બપોરના ૩-૦૦ કલાકે ગાંધીનગરથી સીએમ વિજયભાઇ રૂપાણી કરશે.

રાજ્ય સરકારની આરોગ્ય વિભાગની ‘૧૦૮’ સેવાની જેમ જ GVK-EMRI મારફતે જનભાગીદારીથી રાજ્યના પશુ-પક્ષીઓને અકસ્માત-ઇમરજન્સીમાં સારવાર માટે આ સેવાનો આરંભ કરાશે. એમ્બ્યુલન્સ વાન સાથે પશુચિકિત્સક દ્વારા પશુપક્ષીઓને તાત્કાલિક સ્થળ પર સારવાર પૂરી પડાશે. આ માટે ‘૧૯૬૨’ ટોલ ફ્રી હેલ્પલાઇન સેવા પણ શરૂ કરાશે. હાલ રાજ્યમાં પશુ આરોગ્ય માટે ૩૩ જિલ્લામાં વેટરનરી પોલિક્લિનીક, પશુ દવાખાના, મોબાઇલ પશુ દવાખાના અને પ્રાથમિક પશુ સારવાર કેન્દ્રો દ્વારા પશુ આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં આવે છે.