COTPA – ગુજરાત સુધારા બિલ-2019 રજૂ, જાણો શું છે કોટ્પા, હવે ખેર નથી!

ગાંધીનગર– નશીલા પદાર્થનું સેવન એક જ વ્યક્તિને અસર નથી કરતું તેનાથી ઘરપરિવાર અને સમાજજીવનને સરવાળે નુકસાન થતું હોય છે ત્યારે એવા પ્રકારની પ્રવૃત્તિઓ કરતાં લોકોને નશ્યત કરવા રાજ્ય સરકાર દ્વારા વિધાનસભામાં એક બિલ સુધારો પાસ કરવામાં આવ્યો છે. ગૃહ રાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ આ સંદર્ભે કહ્યું કે, પ્રબળ રાજકીય ઇચ્છાશક્તિથી નશાબંધીની ચુસ્ત નીતિને અનુસરતા દારૂબંધી, હુક્કાબાર અને હવે ઇ-સિગારેટ જેવા નશાના દૂષણોને નાથવા કડક કાયદા ઘડવાની બાબતમાં સમગ્ર દેશમાં ગુજરાતે પહેલ કરીને ગુનેગારો, તેમના વાહનો વાહનો અને મિલકતો જપ્ત કરવા સહિતની કાર્યવાહી હાથ ધરી તેમની આર્થિક કમર તોડવાની નીતિ અપનાવી છે.

ગુજરાત સરકારે વર્ષ – ૨૦૧૭માં નશાબંધી અધિનિયમમાં સુધારો કરી, કાયદાને કડક બનાવી દારૂના ઉત્પાદન, ખરીદ-વેચાણ અને હેરફેર કરનારા ગુનેગારોની સજામાં ત્રણ ગણો વધારો કરી ૧૦ વર્ષ સુધીની કેદની સજા અને રૂા. ૫ લાખ સુધીના દંડની જોગવાઇ કરી છે. દારૂ પીને જાહેરમાં દંગલ કરનાર, અસભ્ય વર્તન કરનારને ૩ વર્ષ સુધીની કેદ, દંડની જોગવાઇ અને નશાબંધીની અમલવારી કરનાર ફરજ પરના અધિકારીને અડચણ, હુમલો કરનારને ૫ વર્ષ સુધીની કેદ અને રૂા. ૫ લાખથી ઓછો નહીં તેટલા દંડની જોગવાઇ કરી છે.

પ્રતીકાત્મક તસવીર

કોટ્પા કાયદામાં સુધારો કરીને હુક્કાબારને પ્રતિબંધિત કરીને ૩ વર્ષ સુધીની કેદની સજા અને રૂા. ૫૦,૦૦૦ સુધીના દંડની જોગવાઇ નિયત કરી છે અને હવે આરોગ્ય માટે જોખમી એવી ‘‘ઇલેકટ્રોનિક નિકોટીન ડિલીવરી સિસ્ટમ’ (ENDS) કે જે સામાન્ય રીતે ઇ-સિગારેટ તરીકે ઓળખાય છે. તેના ઉત્પાદન, આયાત, જાહેરાત અને વ્યાપાર, વિતરણ, વેચાણ (ઓનલાઇન સહિત) ઉપર ગુજરાતમાં પ્રતિબંધ મુકવા COTPA સુધારા વિધેયક રજૂ કરવામાં આવ્યું છે.

ગૃહ રાજ્યપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ COTPA – ગુજરાત સુધારા વિધેયક-૨૦૧૯ રજૂ કરતા જણાવ્યું કે, હાલમાં રાજ્યમાં યુવાનોમાં આરોગ્ય માટે જોખમી એવી ઇ-સિગારેટનું વ્યસન વધી રહ્યું છે. ઇ-સિગારેટ એ બેટરીથી ચાલતું એક એવું સાધન છે, તેમાં રહેલા પ્રવાહીને એરોસોલમાં પરિવર્તિત કરે છે અને બહાર કાઢે છે. સિગારેટમાં જે પ્રવાહી હોય છે તેમાં નિકોટીન, પ્રોપીલીન ગ્લાયકોલ, ગ્લિસરીન અને અન્ય રસાયણો હોય છે. એરોસોલમાં ઘણા હાનિકારક તત્વો ઉપરાંત તેમાં રહેલું ડાયાસીટીલ નામનું રસાયણ ફેફસા માટે નુકશાનકારક બનતું હોવાની સાથે સીસુ જેવી ધાતુ કેન્સરના રોગને નોંતરે છે.

રાજ્યનું યુવાધન આ નવા પ્રકારના જોખમી વ્યસનની લતના રવાડે ન ચઢે તે માટે રાજ્ય સરકારે મૂળ COTPA – 2003ના કાયદામાં સુધારો કરી હવેથી ઇ-સિગારેટના ઉત્પાદન, આયાત, જાહેરાત અને વેચાણ, (ઓનલાઇન સહિત) વિતરણ, વ્યાપાર, આયાત ઉપર પ્રતિબંધ મુકવા સુધારા વિધેયક રજૂ કરી તેને સજાપાત્ર કોગ્નિઝેબલ ગુન્હાની વ્યાખ્યામાં સમાવેશ કરતી જોગવાઇનો સમાવેશ કર્યો છે. સૂચિત જોગવાઇ દાખલ થવાથી આ કાયદાના ભંગ બદલ ત્રણ વર્ષ સુધીની કેદની સજા કે જે એક વર્ષથી ઓછી નહી અને રૂપિયા ૫૦ હજાર સુધી પરંતુ રૂપિયા ૨૦ હજાર થી ઓછો નહી તેટલા દંડની જોગવાઇ કરવામાં આવી છે. સુધારા વિધેયક પસાર થવાથી હવે તે કોગ્નિઝેબલ ગુન્હો ગણાશે અને તેની સાધન સામગ્રી કબ્જે લેવાની સત્તા પી.એસ.આઇ. કે તેનાથી ઉપરના દરજ્જાના અધિકારીને સોંપવામાં આવશે.

ભારતના ૧૨ રાજ્યો તથા વિશ્વના ૩૦ થી વધુ દેશોમાં ઇ-સિગારેટ ઉપર ઠરાવ કરીને પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, પરંતુ પ્રબળ રાજકીય ઇચ્છાશક્તિથી ગુજરાત એક માત્ર એવું રાજ્ય છે કે જ્યાં ઇ-સિગારેટ ઉપર કોપ્ટા – ૨૦૦૩ કાયદામાં સુધારો કરીને પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

રાજયમાં ઇ-સિગારેટના વેચાણ ઉપર કોઇ પ્રતિબંધ ન હોવાના કારણે તે સહેલાઇથી ઓન લાઇન ઉપલબ્ધ છે. ફ્રુડ એન્ડ ડ્રગ્સ એડમીનીસ્ટ્રેશન, અમેરિકાના નિયમો પ્રમાણે ૧૮ વર્ષ અને તેથી મોટી ઉંમરની વ્યક્તિઓ જ ઇ-સિગારેટ ખરીદી શકે છે. પરંતુ ભારતમાં ઓનલાઇન અથવા અન્ય કોઇ વેચાણ પર કોઇ પ્રતિબંધ ન હોવાથી  ૧૮ વર્ષથી નીચેના બાળકો પણ ઇ-સિગારેટ ખરીદી શકે છે.