સ્ટેચ્યુ ઓફ યૂનિટી નજીક બનશે દેશના તમામ રાજ્યોના ગેસ્ટ હાઉસ!!

અમદાવાદ- ગુજરાત સરકારે કેવડીયા ખાતે નિર્માણ પામેલ સરદાર પટેલની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યૂનિટીની નજીકમાં દેશના તમામ રાજ્યોના ગેસ્ટ હાઉસ સ્થાપવાની યોજના બનાવી છે, જે હેઠળ રાજ્ય સરકાર દ્વારા તમામ રાજ્યોના મુખ્યપ્રધાનોને પત્રો પણ લખવામાં આવ્યા છે.

ગુજરાતના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્ર સિંહ ચૂડાસમાંએ ગઈકાલે જ કોલકાતામાં કહ્યું હતું કે, અમે પશ્ચિમ બંગાળ સહિત તમામ રાજ્યોના મુખ્યપ્રધાનોને લેટર લખીને નવનિર્મિત સ્ટેચ્યુ ઓફ યૂનિટી નજીક પોત પોતાના રાજ્યોના ગેસ્ટ હાઉસ બનાવવાનો પ્રસ્તાવ મોકલાવ્યો છે. આ યોજના હેઠળ પ્રવાસનને વેગ આપવાનો એક નવતર પ્રયાસ છે.

વધુમાં તેમણે કહ્યું કે, ગુજરાત સરકારે નર્મદા જિલ્લામાં 3000 કરોડ રૂપિયાના ખર્ચે સરદાર પટેલની 182 મીટર ઉંચી પ્રતિમાં સ્થાપિત કરી છે. તેમણે દાવો કર્યો છે કે, સ્ટેચ્યુ ઓફ યૂનિટીના ઉદઘાટન બાદ દરરોજ અંદાજે 15 હજાર લોકો અહીં મુલાકાતે આવી રહ્યાં છે.  તેમણે એ વાત પર પણ ભાર મુક્યો હતો કે, તમામ રાજ્યોને પટેલની પ્રતિમા નજીક ગેસ્ટ હાઉસ સ્થાપિત કરવા માટે એક સુંદર જગ્યા મળશે.

વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટ – 2019ની નવમી આવૃત્તિ આગામી મહિનામાં ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે યોજાશે. જે અંતર્ગત કોલકાતા સ્થિત સ્વિસ હોટલમાં ગુજરાતના શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાની ઉપસ્થિતિમાં વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ રોડ-શો યોજાયો હતો.