ગુજરાત સરકારની ચેતવણીઃ સોશિઅલ મીડિયાના ખોટા મેસેજથી ચેતો

ગાંધીનગરગુજરાત સરકારે આજે ચેતવણી જાહેર કરી છે કે વ્હોટ્સએપ, ફેસબૂક, ટ્વીટર જેવાં સોશિઅલ મીડિયાના માધ્યમ દ્વારા નાના બાળકોના અપહરણ અંગેના વીડિયો કે મેસેજ રાજ્યના વિવિધ જિલ્લા-શહેરોમાં વાયરલ થયા છે, તે રાજ્યમાં ભયનો માહોલ પેદા કરનારા તથા કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિને ખોરંભે પાડનારા છે. આ માટે નાગરિકો ચેતે અને લોકજાગૃતિ દ્વારા આવા ખોટા મેસેજ આગળ ન મોકલે તે અત્યંત જરુરી છે.
ઉલ્લેખનીય છે કે રાજ્યભરમાં વિવિધ સ્થળે બાળકો ચોરી જવાની શંકામાં આવીને લોકોએ મારપીટ કરી છે જેમાં અમદાવાદમાં એક મહિલાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.
 
–     બાળકોના અપહરણ કરતી ગેંગના વાયરલ થયેલા ખોટા મેસેજથી ભયનો માહોલ પેદા કરવાનો હીન પ્રયાસ
–     આવા મેસેજ સદંતર ખોટા અને પાયા વિહોણા: ગૃહ રાજયપ્રધાન પ્રદિપસિંહ જાડેજા
–     સોશિયલ મીડિયા પર અફવા ફેલાવવી ગુનાહિત કૃત્ય
–     આધારભૂત માહિતી ધ્યાને આવે તો પોલીસને જાણ કરવી
–     કાયદો હાથમાં લેવાની સ્થિતિમાં આવા કૃત્યો કરનાર લોકો સામે ગુનો દાખલ કરવા સહિતના કાયદેસરના પગલાં લેવામાં આવશે
–     વ્હોટ્સએપ ગ્રુપમાં આવા પ્રકારના સંદેશા આવે તો તેને આગળ જતા અટકાવવા
–     આવી ઘટનાઓ અટકાવવા પોલીસને ઘનિષ્ઠ કાર્યવાહી કરવા સૂચના અપાઇ
 
જાડેજાએ જણાવ્યું હતું કે, રાજયના અલગઅલગ જિલ્લાઓ, શહેરોમા નાના બાળકોના અપહરણ કરતી ગેંગ આવ્યાંના અને બાળકોને ઉપાડી જવા અંગેના સમાચારો સોશિયલ  મીડિયામાં ફરતા થયા છે તે તમામ મેસેજ સદંતર ખોટા અને પાયાવિહોણા છે, જેના થકી રાજયની કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ડામાડોળ કરવાનો હીન પ્રયાસ થઈ રહ્યો છે. તેને ડામવા રાજય સરકાર કડક હાથે પગલાં લઈ રહી છે. આ માટે નાગરિકો સક્રિય સહયોગ આપે અને આવા મેસેજ સોશિયલ મીડિયા દ્વારા વાયરલ ન કરે તે જરૂરી છે જેથી ભયનો માહોલ પેદા ન થાય.
સોશિયલ મીડિયા પર અફવા ફેલાવવી ગુન્હાહિત કૃત્ય છે આવી અફવા ફેલાવનાર વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તેમ છતા આવી આધારભૂત માહિતી ધ્યાને આવેથી ૧૦૦ નંબર પર પોલીસને જાણ કરવી. કોઈપણ વોટસએપ ગ્રુપમાં આ પ્રકારની માહિતી આવે તો એડમીન તથા અન્ય સભ્યોએ તેને રોકવી જોઈએ અને તેને ડીલીટ કરી આગળ ફેલાતી અટકાવવી જોઈએ. ફેસબૂકમાં પણ આ પ્રકારના મેસેજ કે ખોટા ન્યુઝ જણાય તો તે મેસેજને ‘Abuse Report’ કરીને ફેસબૂકને જાણ કરવી જોઈએ. જેથી ફેસબૂક પણ આવા મેસેજ દૂર કરી મેસેજને ફેલાતા અટકાવી શકે.