દૂધ પાવડરનો ભરાવો થતાં નિર્ણય,દૂધ સંઘોને પ્રતિ કિલો રુ. 50 નિકાસ પ્રોત્સાહન સહાય

ગાંધીનગર- ગુજરાત સરકારે રાજ્યના પશુપાલકોને મદદરૂપ થવા માટે દૂધના પાવડરની નિકાસ માટે પ્રતિ કિલો રૂ.૫૦ની સહાય આપવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કૃષિ અને પશુપાલનપ્રધાન આર.સી.ફળદુની ઉપસ્થિતિમાં આ નિર્ણય અંગે માહિતી આપતા ઉમેર્યુ કે, આંતરરાષ્ટ્રીય બજારમાં સ્કીમ મિલ્ક પાવડર (દૂધનો પાવડર) ના ભાવમાં મોટો ઘટાડો થયો છે. જેના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં દૂધના પાવડરની નિકાસ ઘટી છે, રાજ્યના સહકારી દૂધ સંઘો પાસે હાલ અંદાજે રૂ.૨૫૦૦ કરોડની કિંમતનો ૧,૧૦,૦૦૦ મેટ્રીક ટન દૂધ પાવડરનો જથ્થાનો ભરાવો થયો છે. અને દૂધ સંઘોની મોટા પ્રમાણમાં મૂડી રોકાઇ ગઇ છે અને તેના પર વ્યાજનું ભારણ વધી રહ્યું છે. અને આનું સીધુ નુકશાન દૂધ ઉત્પાદકો એટલે કે પશુપાલકોને થાય છે. પશુપાલકો અને જિલ્લા સંઘોને થતું આ નુકશાન અટકાવવા માટે દૂધના પાવડરની નિકાસ થાય તે જરૂરી છે.

નીતિન પટેલ ઉમેર્યુ કે, આંતરરાષ્ટ્રીય બજારમાં આપણા દૂધના પાવડર કરતાં અન્ય દેશોના દૂધનો પાવડર સસ્તા ભાવે વેચાઇ રહ્યો છે, જેથી આપણા દૂધના પાવડરની નિકાસ કરવી હોય તો નીચા ભાવે દૂધનો પાવડર વેચવો પડે અને જો દૂધ સંઘો નીચા ભાવે દૂધના પાવડરની નિકાસ કરે તો ખૂબ મોટું આર્થિક નુકશાન કરવું પડે તેમ છે. જે દૂધ સંઘો ઉપાડી શકે તેમ નથી તેને ધ્યાને લઇ ગુજરાત દૂધ ઉત્પાદક સંઘ, અમૂલ ફેડરેશનના ચેરમેન રામસિંહ પરમાર, વાઇસ ચેરમેન જેઠાભાઇ ભરવાડ, એમ.ડી. આર.એસ.સોઢી અને જિલ્લાના અન્ય દૂધ સંઘોના ચેરમેન, મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાને દૂધના પાવડરની નિકાસ માટે રાજ્ય સરકાર સહાય આપે તેવી રજુઆત કરી હતી. તેને ધ્યાનમાં લઇ રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે કે, તા.૦૧.૦૭.૨૦૧૮થી છ મહિના સુધી અમૂલ દ્વારા જેટલા દૂધના પાવડરની નિકાસ કરવામાં આવશે, તે પાવડર પર પ્રતિ કિલો ૫૦ રૂપિયા રાજ્ય સરકાર તરફથી સહાય આપવામાં આવશે અને રૂ.૩૦૦ કરોડની મર્યાદામાં રાજ્ય સરકાર આ સહાય દૂધ સંઘોને આપશે જેના કારણે લગભગ ૬૦ હજાર મેટ્રીક ટનથી વધુ દૂધના પાવડરની નિકાસ થઇ શકશે. જેથી દૂધના પાવડરના સ્ટોકમાં ઘટાડો થતા દૂધની ડેરીની રકમ છૂટી થશે અને વ્યાજનું ભારણ ઘટશે અને દૂધ સંઘોની આવક વધશે.