રાજકોટ નજીક ભરુડીના મગફળી ગોડાઉનમાં આગ, 4 કરોડનું નુકસાન

રાજકોટ- ગોંડલ રાજકોટ હાઈવે પર આવેલ ભરૂડી નજીક શ્રીયા ઓઈલ મિલના મગફળીના ગોડાઉનમાં વિકરાળ આગ ભભૂકી ઉઠી હતી. આગને કાબૂમાં લેવા રાજકોટ તેમ જ ગોંડલથી ફાયર ફાઈટરની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવા પાણીનો મારો ચલાવી રહી છે. મગફળીના ગોડાઉનમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ લાગતા ધૂવાળાના ગોટેગોટા ઉડ્યા હતા. જો કે કયા કારણોસર આગ લાગી તે તપાસ બાદ ખબર પડશે. હાલમાં શોર્ટસર્કિટ કે કોઈ તણખા ચંપાવાના કારણે આગ લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે.

મહત્વનું છે કે, સૌરાષ્ટ્રમાં મગફળીના ગોડાઉનમાં આગ લાગવી હવે સામાન્ય ઘટના બની ગઈ છે.  છેલ્લાં એક વર્ષેમાં અનેક વખત મગફળીમાં આગ લાગ્યાંની ઘટનાઓ બની છે.

રાજકોટ ફાયર વિભાગમાંથી મળતી માહિતી મુજબ ભરુડી પાસે આવેલ શ્રીયા ઓઈલ  મિલમાં આગ લાગી હોવાનો ફોન આવતા જ ગાડીઓ રવાના કરી દેવામાં આવી હતી.

આ અગાઉ પણ ગોંડલ, શાપર તેમજ રાજકોટમાં મગફળીના ગોડાઉનામાં આગ લાગી હતી અને કરોડોનું કૌભાંડ આચરવામાં આવ્યું હતું.  ત્યારે ભરૂડી પાસે મગફળીના જથ્થામાં આગ લાગી છે કે, પછી લગાવવામાં આવી છે તે અંગે તપાસ ચાલી રહી છે.