ગૌરી વ્રત માટે જવારા અને પૂજાપો તૈયાર, કાલથી શરુ થશે વ્રત

અમદાવાદ- અષાઢ સુદ અગિયારસથી ગૌરી વ્રતનો પ્રારંભ થાય છે. નાની બાળાઓને ભવિષ્યમાં ગુણવાન પતિ  માટે એટલે કે સુપાત્ર મળે એ હેતુથી આ વ્રત કરાવવામાં આવે છે. પુરાણ પરંપરાગત વાત  અનુસાર પાર્વતી માતાએ  વ્રત કર્યુ હતુ, એ વાત ધ્યાનમાં લઇ એને ગૌરી વ્રત કહેવામાં આવે છે.

વ્રત પૂર્વે સાત ધાન લઇ છાબડામાં નાંખી જવારા ઉગાડવામાં આવે છે. વ્રતના થોડા દિવસ અગાઉ પરિવારના સભ્યો જવારા ઉગાડવામાં મદદ કરે છે. સુંદર છાબડામાં જવારા તૈયાર થઇ જાય ત્યાર બાદ વ્રતનો પ્રારંભ થતાં જ અષાઢી અગિયારસથા ભગવાન શંકરનેને યાદ કરી એ જવારાની રૂ-કંકુ-ચોખા પૂજાપા સાથે પૂજાઅર્ચના કરવામાં આવે  છે.

આ સાથે ગૌરી વ્રતના સમયગાળા  દરમિયાન બાળાઓ ઉપવાસ કરે છે. ત્યારબાદ પૂનમના છેલ્લા દિવસે જાગરણ કરે છે.

ગૌરી વ્રત સાથે કથા અને વાર્તા પણ જોડાયેલી છે. અષાઢ માસ એટલે કે ચોમાસાના પ્રારંભના દિવસોમાં વ્રત અને તહેવારની શરુઆત થઇ જાય છે. ઉત્સવ-તહેવાર અને અનોખી ધાર્મિક પરંપરાઓ સાથે જોડાયેલા હિંદુ ધર્મની કેટલીક બાબતોમાં વિજ્ઞાન પણ જોડાયેલું છે.
ગૌરી વ્રતના પ્રારંભ પૂર્વે હવે બજારમાં ઠેર ઠેર તૈયાર જવારા મળી રહ્યાં છે. સાથે પૂજાપાની સામગ્રીનું તૈયાર પેકિંગ બજારમાં ઉપલબ્ધ છે.
અહેવાલ- તસવીરઃ પ્રજ્ઞેશ વ્યાસ