ગરીબ કલ્યાણમેળાની તારીખ બદલાઈ, 5ને બદલે 8 તારીખે યોજાશે

ગાંધીનગર-રાજ્યવ્યાપી ગરીબ કલ્યાણમેળાની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. તંત્ર એલઆરડી પરીક્ષાના આયોજનમાં વ્યસ્ત હોવાના કારણને લઇને આ ફેરફાર કરવામાં આવ્યો છે. 5 જાન્યુઆરીના ગરીબ કલ્યાણમેળા 8 તારીખે યોજાશે

આ પહેલાં વિભાગ દ્વારા જણાવાયું કે મુખ્યપ્રધાન વિજય રૂપાણી આજે પોરબંદર ખાતેથી રાજ્યવ્યાપી ગરીબ કલ્યાણ મેળાના 11માં ચરણનો પ્રારંભ કરાવશે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના અંત્યોદય-છેવાડાના માનવીના સર્વાંગી ઉત્થાન અને ગ્રામ સ્વરાજના ઉદ્દેશોને પાર પાડવા વર્ષ ર૦૦૯થી ગરીબોના સશકિતકરણ માટેનો આ સેવા યજ્ઞ શરૂ કરવામાં આવ્યો છે. પોરબંદરમાં કુલ ૩૪૧૪ લાભાર્થીઓને રૂ. ૧ર કરોડ ૭૪ લાખની સહાય-સાધન ગરીબ કલ્યાણ મેળાના માધ્યમથી આપવામાં આવશે.

આ વર્ષે ગરીબ કલ્યાણ મેળાની ૧૧મી કડી ૩-૪-પ જાન્યુઆરી એમ ત્રણ દિવસો દરમિયાન રાજ્યમાં યોજાશે. આ ૧૧મી કડીમાં અંદાજે ૧૧ લાખ ૮૩ હજાર લાભાર્થીઓને રૂ.૨૩૦૭ કરોડના સાધન-સહાયનું રાજ્યવ્યાપી વિતરણ થવાનું છે. ૩૩ જિલ્લાઓમાં ૩૯ ગરીબ કલ્યાણ મેળાઓનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યના તમામ પ્રાંત, તાલુકા, નગરપાલિકાઓ તથા મહાનગરપાલિકાઓમાં પણ આ મેળાઓ યોજવામાં આવશે.

૪થી જાન્યુઆરીએ અછતગ્રસ્ત વિસ્તાર કચ્છના ભૂજ ખાતેના ગરીબ કલ્યાણ મેળામાં પણ મુખ્યપ્રધાન ઉપસ્થિત રહી સાધન-સહાયના લાભોનું વિતરણ કરશે.

નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ ૩ જાન્યુઆરીએ મહેસાણામાં તથા ૪ જાન્યુઆરીએ અમદાવાદ મહાનગરના ગરીબ કલ્યાણ મેળામાં ઉપસ્થિત રહેશે.

રાજ્યના ગરીબી રેખા હેઠળના લોકોનું જીવનધોરણ ઊંચુ લાવવા માટે અને તેમનો સર્વાંગી વિકાસ કરી સ્વનિર્ભર બનાવવાના આશયથી આ વર્ષે રૂ. ર૦ હજાર સુધીની મર્યાદામાં આખા આંટાનું સિલાઇ મશીન, કડીયાકામની કીટ, પ્લમ્બર અને વેલ્ડરો માટે નવી ટેકનોલોજી પ્રમાણેના સાધનો તથા ખાસ કરીને મહિલાઓ રાજ્યની આર્થિક પ્રગતિમાં સ્વમાનભેર ભાગીદાર થાય તે માટે સખીમંડળોને રૂ. ૪૭૦૦૦ની મર્યાદામાં પેપર કપ, પેપર ડીશ, મસાલા યુનિટ, બ્યુટી પાર્લર, મસાજ વગેરે કીટની સહાય આપવામાં આવશે.

ગરીબ કલ્યાણ મેળામાં નવતર અભિગમ અપનાવીને આ વર્ષે ઉજવલા યોજના હેઠળના લાભાર્થીઓને ગેસ કનેકશન તથા રસોઇ માટે સ્ટેનલેસ સ્ટીલનું પ લીટરનું પ્રેસર કુકર રાજ્ય સરકાર આપશે.

ઉલ્લેખનીય છે કે, ર૦૦૯થી શરૂ થયેલા ગરીબ કલ્યાણ મેળાઓમાં અત્યાર સુધીમાં ૧૦ ગરીબ કલ્યાણ મેળાની રાજ્યવ્યાપી શૃંખલામાં ૧૪૯૧ મેળાઓ દ્વારા ૧.૩૪ કરોડ લાભાર્થીઓને રૂ. ર૩૮૮૯.૬ર કરોડની સાધન-સહાય પૂરી પાડવામાં આવી છે. આ મેળાઓમાં ૧૩.૯ર લાખ અનુસૂચિત જાતિ, ૩૪.પ૯ લાખ અનુસૂચિત જનજાતિ તથા ૬ર.પપ લાખ મહિલા લાભાર્થીઓને પણ આવરી લેવાયા છે.