17થી 22 જાન્યુઆરી ગાંધીનગર જિલ્લાની RTO કચેરીના આ વિભાગો રહેશે બંધ

ગાંધીનગર- આગામી  વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૧૯ દરમિયાન ગાંધીનગરમાં સુરક્ષા, કાયદો અને વ્યવસ્થા તેમજ ટ્રાફિક નિયમન સુચારૂ રીતે જળવાય તે હેતુસર સહાયક પ્રાદેશિક વાહનવ્યવહાર કચેરી (RTO), ગાંધીનગર મુકામે વાહન નોંધણી, વાહન પાસીંગ (ફીટનેસ)ને લગતું તમામ કામકાજ બંધ રાખવામાં આવ્યું છે.

આગામી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૧૯ની ઉજવણી ૧૭ થી ૨૨ જાન્યુઆરી દરમિયાન મહાત્મા મંદિર, ગાંધીનગર તથા હેલીપેડ ગ્રાઉન્ડ, સેક્ટર-૧૭ ખાતે યોજાનાર છે. જેમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા  અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહેનાર છે, જેઓ એસ.પી.જી. સુરક્ષા કેટેગરી ધરાવે છે. મહાત્મા મંદિર મુકામે ગોલ્ડ સ્ટાર કેટેગરી ધરાવતા VVIPઓ ‘ગ’ માર્ગ પરથી મહાત્મા મંદિર ખાતે આવશે. જેથી આરટીઓ કચેરીના કેટલાક વિભાગોનું કામ બંધ રાખવામાં આવ્યું છે.

વધુમાં આ દિવસો દરમિયાન અન્ય કામગીરી અર્થે આવતા નાગરિકો/અરજદારોએ તેમના વાહનો ‘ગ’-૦ સર્કલથી ગ’-૧ સર્કલ સુધીના તમામ વિસ્તારમાં જાહેર માર્ગ પર પાર્ક નહીં કરી શકે. પરંતુ કચેરી પ્રિમાઇસીસમાં નિયત જગ્યાએ પાર્ક કરવાના રહેશે જેની જાહેર જનતાએ નોંધ લેવા યાદીમાં વધુમાં જણાવાયું છે.