અમિત શાહ અહીં ચૂંટણી લડે, અડવાણીનું પત્તું કાપતાં કાર્યકર્તાની માગ…

ગાંધીનગરઃ લોકસભાની ચૂંટણી જાહેર થતાંની સાથે જ તમામ પાર્ટીઓએ ઉમેદવારોની પસંદગી શરુ કરી દીધી છે. ભાજપ દ્વારા પણ છેલ્લાં કેટલાક દિવસથી મીટિંગો કરીને દાવેદારોની સેન્સ લેવામાં આવી રહી છે. ત્યારે ગુજરાતની ગાંધીનગર બેઠક અત્યારે ચર્ચામાં છે. ગાંધીનગર બેઠક પરથી અત્યારસુધી ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી ચૂંટણી લડતા હતાં. પરંતુ હવે ભાજપના કાર્યકર્તાઓએ રજૂઆત કરી છે કે આ બેઠક પરથી અમિત શાહ ચૂંટણી લડે.

મહત્વનું છે કે ગાંધીનગરમાંથી રાષ્ટ્રીય નેતા ઉભા રહે છે અને અત્યાર સુધી એલ.કે. અડવાણી આ બેઠક પરથી લડતા હતાં. થોડા દિવસથી આ બેઠક માટે બે નામ ચર્ચાઇ રહ્યાં હતાં એક અમિત શાહ અને બીજા આનંદીબેન પટેલ.

જોકે બધા કાર્યકર્તાઓનો સૂર એક જ છે કે આ બેઠક પરથી અમિત શાહને ઉભા કરવામાં આવે. મળતી માહિતી પ્રમાણે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની લોકસભા એન્ટ્રીની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. આજે સવારે ખાનપુર અને બપોર બાદ ગાંધીનગર કાર્યાલય ખાતે ત્રણ પ્રદેશ નિરીક્ષકો આવશે.

સંભવિત ઉમેદવારો અંગે કાર્યકરો અને આગેવાનોની સેન્સ લેવામાં આવશે. આ બેઠક માટે નટુજી ઠાકોર, ડો.નીમાબેન આચાર્ય અને પૃથ્વીરાજ પટેલને ગાંધીનગર બેઠકના નિરીક્ષકની જવાબદારી સોંપવામાં આવી છે. તેઓએ દાવેદારોની સેન્સ લીધી છે.

ચર્ચા ચાલી રહી છે કે ગાંધીનગર માટે અમિત શાહનું નામ ચર્ચામાં આવતા હાલ મધ્ય પ્રદેશના રાજ્યપાલ આનંદી બેન પટેલ પણ મેદાનમાં આવી ગયા છે. તેમણે પણ ગાંધીનગરથી નોંધાવી દાવેદારી રજુ કરી છે. વળી, જો પાર્ટી 75 વરસથી વધુના ઉંમરના લોકોને ટિકિટ ન આપતી હોય તો તેમણે તેમના પરિવારમાંથી કોઈને ટિકિટ અપાય તેવી લાગણી પણ વ્યક્ત કરી છે. વાત તો એવી પણ ચર્ચાઇ છે કે જો આનંદી બેનને ટિકિટ મળે તો તેમને કોઈ પ્રધાન પદ નથી જોઈતું તેવી ઈચ્છા વ્યક્ત કરી છે. આ કારણે તેમણે પોતાના સમર્થકો માટે જ 4 દિવસનો ગુજરાતનો પ્રવાસ ગોઠવ્યો હોવાનું જાણકારીમાં આવ્યું છે.