પોરબંદરમાં માનવસાંકળ રચીને બાપુની પ્રતિકૃતિનું થશે નિર્માણ, મુખ્યપ્રધાન કરશે નિરીક્ષણ

ગાંધીનગર- મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે મુખ્યપ્રધાન વિજય રુપાણી ર-ઓકટોબરના રોજ પોરબંદરના કીર્તિમંદિરમાં સવારે યોજાનારી સર્વધર્મ પ્રાર્થના સભામાં ઉપસ્થિત રહેશે. જ્યાં તેઓ વિશ્વ માનવ ગાંધીજીને ભાવાંજલિ આપશે.

પોરબંદરમાં ગાંધી જ્યંતિની અનોખી ઉજવણી કરવામાં આવશે જેમાં માનવ સાંકળ રચીને બાપુની પ્રતિકૃતિનું નિર્માણ કરવામાં આવશે.જેનું મુખ્યપ્રધાન નિરીક્ષણ કરશે.

વડાપ્રધાન મોદીના પ્રતિવર્ષ ગાંધીજ્યંતિ ર-ઓકટોબરે ખાદી ખરીદી અભિયાનથી ગરીબ ગ્રામીણ પરિવારોના ઘરમાં આર્થિક ઊજાસ પાથરવાનો અભિગમ વ્યાપક બનાવ્યો છે. આ અભિગમને આગળ ધપાવતા મુખ્યપ્રધાન વિજય રુપાણી ગાંધીજી જ્યંતિએ બપોરે ૪ વાગ્યે અમદાવાદમાં આશ્રમ રોડ પરના ગ્રામ શિલ્પથી ખાદીની ખરીદી કરશે.

આ ઉપરાંત રૂપાણી સાંજે પાંચ વાગ્યે વાડજ સર્કલ પાસે રૂ.૧૯ કરોડના ખર્ચે નવા નિર્માણ પામનારા ગુજરાત રાજ્ય ખાદી ગ્રામોદ્યોગ બોર્ડ ભવન તેમજ ખાદી મ્યૂઝિયમનો શિલાન્યાસ પણ કરશે.

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને આદરાંજલિ અર્પણ કરવા સાંજે ૬-૩૦ વાગ્યે સાબરમતી આશ્રમના હ્રદયકુંજમાં પૂ. બાપૂને પ્રિય ભજનો આશ્રમ ભજનાવલિ કાર્યક્રમમાં પ્રસ્તુત કરવામાં આવશે. આ કાર્યક્રમમાં રાજ્યપાલ ઓમપ્રકાશ કોહલી પણ ઉપસ્થિત રહેશે અને પૂ. બાપૂને ભાવસભર વંદના કરશે.