પોરબંદરની ધરતીની તાકાત છે,નહીં તો ગાંધી જેવું વ્યક્તિત્વ અહીં જન્મી જ ના શકે: CM રૂપાણી

પોરબંદર: 2જી ઓક્ટોમ્બર એટલે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતિ. મોહનદાસ ગાંધીના વતન પોરબંદર ખાતે આજે ગાંધી જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. બાપુના જન્મ સ્થળ કીર્તિમંદિર ખાતે સર્વધર્મ પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દર વર્ષની પરંપરા મુજબ પ્રાર્થના સભામાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી ઉપસ્થિત રહ્યાં હતાં. કીર્તિમંદિરના સંચાલન સમિતિના અઘ્યક્ષ ઇશ્વ સિંહ પટેલ પણ આ પ્રાર્થના સભામાં ઉપસ્થિત રહ્યાં હતાં.

પોરબંદર ખાતે ગાંધી જયંતિ નિમિત્તે ઉપસ્થિત રહેલા સીએમ રૂપાણીએ ગાંધીજીના જીવન અંગે કેટલીક વાતો કહી હતી. તેમણે કહ્યું કે, ભારતમાં સ્વરાજ અને સુરાજ્યની વાત માહત્માએ કરી હતી. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલા સ્વચ્છતા અભિયાન અંગે આપણે સાથ આપી સ્વચ્છ ભારત બનાવામાં સહયોગ આપવો જોઇએ. વધુમાં તેમણે ઉમેર્યું કે પોરબંદરની ધરતીની તાકાત છે ,નહીં તો ગાંધી જેવું વ્યક્તિત્વ અહીં જન્મી જ ના શકે. ત્યારે ગાંધીજીના જન્મ જ્યંતિ નિમિત્તે ગુજરાતને સ્વચ્છ રાખવાને સંકલ્પ કરવો જોઇએ.

વધુમાં મુખ્યપ્રધાને કહ્યું કે, ગાંધીજીનું જીવન એજ તેમનો સંદેશો હતો, આજે પણ બધીજ સમસ્યાઓનું નિવારણ સમાધાન ગાંધી વિચારોમાં છે. ગાંધીજીના વિચારો આજે પણ એટલા જ પ્રસ્તુત છે. સત્ય, અહિંસાનો આગ્રહ અને સ્વચ્છતા એજ ગાંધીજીને આજના દિવસે સાચી શ્રદ્ધાંજલિ છે.

ગાંધીજીની ૧૫૦મી જન્મ જ્યંતિ નિમિત્તે સ્વચ્છ ભારત મિશનનો પણ પ્રારંભ થઇ રહ્યો છે, ત્યારે સત્ય, અહિંસા, અસ્પૃશ્યતા,અપરિગૃહના ગાંધીજીના વિચારો મૂલ્યોને સ્વીકારી સ્વચ્છતા અપનાવવી એજ પૂજય બાપુને સાચી શ્રદ્ધાંજલિ છે, તેમ પણ તેમણે ઉમેર્યું હતું.

આ પ્રસંગે જિલ્લાના રાજકીય અગ્રણીઓ અને અધિકારીઓ  તેમ જ અગ્રગણ્ય નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતાં.