મોદી સરકારના 4 વર્ષઃ 27 મેથી11 જૂન દરમ્યાન ગુજરાતભરમાં વિવિધ કાર્યક્રમો

અમદાવાદ– વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની આગેવાની હેઠળની ભાજપા સરકારને તા. ૨૬ મે, ૨૦૧૮ના રોજ પોતાના કાર્યકાળના સિધ્ધિઓથી ઝળહળતા ૪ વર્ષ પૂર્ણ થયા છે. ૪ વર્ષના આ ટૂંકા સમયગાળામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દિર્ઘદ્ધષ્ટિ અને દ્રઢ ઈચ્છા શક્તિને લીધે ભારતના તમામ ક્ષેત્રોએ વિકાસની હરણફાળ ભરી છે. ભારતીય અર્થતંત્ર સમગ્ર વિશ્વનું સૌથી વધુ ઝડપથી વિકસતું અર્થતંત્ર બન્યું છે. એમ ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું.વાઘાણીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા. ૨૬ મે, ૨૦૧૮ના રોજ ઓરીસ્સામાં આ પ્રસંગે જાહેરસભા સંબોધવાના છે, તેમજ ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ તા. ૨૬ મે, ૨૦૧૮ના રોજ બપોરે ૧૨.૦૦ કલાકે કેન્દ્રીય કાર્યાલયમાં પત્રકાર ગોષ્ઠીના માધ્યમથી સરકારની સિધ્ધિઓ, પાર્ટીની સંગઠનાત્મક યોજના તેમજ આગામી વર્ષોમાં પાર્ટીની ભૂમિકા તે વિષયો પર ચર્ચા કરશે. જનધન યોજના, પ્રધાનમંત્રી જીવનજ્યોતિ વીમા યોજના, ઉજ્જવલા યોજના, ઉજાલા યોજના, ઈન્દ્રધનુષ યોજના, સ્વચ્છતા અભિયાન, પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના, મુદ્રા યોજના, સ્ટાર્ટઅપ ઈન્ડિયા અને સ્ટેન્ડઅપ ઈન્ડિયા વગેરે જેવી અનેક યોજનાઓના સફળ અમલીકરણ દ્ધારા સમાજના તમામ વર્ગો ભારતની વિકાસયાત્રામાં જોડાઈ પ્રગતિ અને સમૃદ્ધિના નવા શીખરો સર કરી રહ્યા છે.

ભાજપા દ્ધારા તા. ૨૭ મે થી ૧૧ જૂન, ૨૦૧૮ દરમ્યાન સમગ્ર દેશમાં આ ૪ વર્ષની ઉજવણીના આ કાર્યક્રમો યોજવામાં આવશે. જે અંતર્ગત ગુજરાત ભાજપા દ્ધારા પણ આ સમયગાળા દરમ્યાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

૧. વિશેષ સંપર્ક અભિયાન

૨. બુધ્ધિજીવી સંમેલન

૩. વરિષ્ઠ નાગરીકો સાથે સંપર્ક

૪. પત્રકાર પરિષદ

૫. સ્વચ્છતા અભિયાન

૬. સમરસતા સંપર્ક

૭. ગ્રામ સભા

૮. લાભાર્થી સંમેલન

૯. બુથ સંપર્ક અભિયાન

ઉપરોક્ત કાર્યક્રમોના માધ્યમથી ભાજપાના તમામ શ્રેણીના કાર્યકર્તાઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની ભાજપ સરકારની ૪ વર્ષની સિધ્ધિઓ અને ભારતની વિકાસગાથા જનજન સુધી પહોંચાડશે.

મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણી આ કાર્યક્રમોના ભાગરૂપે તા. ૨૭ મી મે, ૨૦૧૮ એ રાજકોટ ખાતે બુદ્ધિજીવી સંમેલનને સંબોધશે તથા ૨૮ મે, ૨૦૧૮એ અમદાવાદના ખોખરા ખાતેથી બુથ સંપર્ક અભિયાનનો પ્રારંભ કરાવશે. પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી તા. 27 મે, 2018 એ વડોદરામાં બુદ્ધિજીવી સંમેલન સંબોધશે, તેમજ તા. 28 મે, 2018એ દાહોદ ખાતે બુથ સંપર્ક અભિયાનમાં ભાગ લેશે. રાષ્ટ્રીય મહામંત્રી અને પ્રદેશ પ્રભારી ભુપેન્દ્રજી યાદવ તા. ૦૩ જુન, ૨૦૧૮ના રોજ અમદાવાદ ખાતે બુદ્ધિજીવી સંમેલનને સંબોધશે. તા. ૩૦ મી મે, ૨૦૧૮ ના રોજ રાષ્ટ્રીય મહામંત્રી ડૉ. અનિલજી જૈન ગુજરાતના તેમના પ્રવાસ અંતર્ગત વિવિધ સંગઠનાત્મક બેઠકોમાં ભાગ લેશે. કેન્દ્રીય પ્રધાન પરષોત્તમભાઈ રૂપાલાજી તા. ૨૮ મે, ૨૦૧૮ સુરત ખાતે બુદ્ધિજીવી સંમેલન સંબોધશે.