સૌરાષ્ટ્ર, કચ્છમાં સાત કલાકમાં ધરતીકંપના 4 હળવા આંચકા લાગ્યા હતા

અમદાવાદ – ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારોમાં આજે બપોરે ભૂકંપના ચાર આંચકા લાગ્યા હતા. સાત કલાકમાં આ ચાર હળવા આંચકા લાગ્યા હતા.

સદ્દભાગ્યે ક્યાંય જાનહાનિ કે સંપત્તિને નુકસાન થયાના અહેવાલ નથી.

ઈન્સ્ટિટ્યૂટ ઓફ સીસ્મોલોજિકલ રિસર્ચ ઈન ગુજરાતના જણાવ્યા મુજબ, આંચકા સાડા સાત કલાકમાં લાગ્યા હતા. પહેલો આંચકો રિક્ટર સ્કેલ પર 1.4ની તીવ્રતાનો હતો. એનું કેન્દ્રબિંદુ કચ્છ જિલ્લામાં ભચાઉથી આઠ કિ.મી. દૂર હોવાનું માલુમ પડ્યું હતું.

બીજો આંચકો મોટો હતો જે 4.1ની તીવ્રતાનો હતો. એ 12.23 વાગ્યે લાગ્યો હતો. એનું કેન્દ્રબિંદુ સૌરાષ્ટ્રના ઉના શહેરથી 38. કિ.મી. દૂર હતું. આંચકાનું ફોકસ ધરતીમાં 19.7 કિ.મી. ઊંડે જણાયું હતું.

ત્રીજો આંચકો બીજા આંચકાની ત્રણ મિનિટ બાદ આવ્યો હતો અને તે રિક્ટર સ્કેલ પર 2.2ની તીવ્રતાનો નોંધાયો હતો. એનું કેન્દ્રબિંદુ કચ્છ જિલ્લાના ભચાઉ નજીક હતું.

ચોથો આંચકો બપોરે 1.37 વાગ્યે લાગ્યો હતો જેની તીવ્રતા 2.2 હતી. એનું કેન્દ્રબિંદુ સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગરથી 31 કિ.મી. દૂરના વિસ્તારમાં હોવાનું માલુમ પડ્યું હતું.