ઇશરત જહાં એન્કાઉન્ટર કેસ: એન.કે.અમીન અને વણઝારાની ડિસ્ચાર્જ અરજી મંજૂર

અમદાવાદ- ઇશરત જહાં એન્કાઉન્ટર કેસમાં પૂર્વ IPS ડીજી વણઝારા અને પૂર્વ DYSP એન.કે અમિનને આજે સીબીઆઈ કોર્ટે મોટી રાહત આપી છે. CBI કોર્ટે બંન્નેની ડિસ્ચાર્જ અરજી પર મંજૂરીની મહોર મારી છે. રાજ્ય સરકારે કાર્યવાહીની મંજૂરી ન આપતા કોર્ટે તેઓને મુક્તિ આપી છે. ડી.જી વણઝારા અને એન.કે અમીને ડિસ્ચાર્જ માટે અમદાવાદની સીબીઆઈ કોર્ટમાં અરજી કરી હતી. આ સાથે જ બંન્ને પક્ષો તરફથી કોર્ટમાં સુનાવણી પૂર્ણ થઈ છે.

 

કોર્ટમાં બચાવપક્ષ દ્વારા એવી દલીલ કરવામાં આવી હતી તે, ઇશરત જહાં આતંકી પ્રવૃતિ સાથે જોડાયેલ હતી, જેથી અધિકારીઓએ ફરજ પર રહીને કાર્યવાહી કરી હતી. તો બીજી તરફ ઇશરતના વકીલ તરફથી કોર્ટમાં એવી દલીલ કરવામાં આવી હતી કે, 15 વર્ષથી અધિકારીઓ સામે કેસ ચાલી રહ્યો છે, જેથી તેમના પર પગલાં લેવા જોઈએ, આ કેસમાં હજુ સુધી આરોપીઓ સામે ચાર્જફ્રેમ થયો નથી.

ઉલ્લેખનીય છે કે, અમદાવાદ કોતરપુર વોટર વર્કસ પાસે ઈશરત જહાં અને તેના સાથીઓના થયેલા એન્કાઉન્ટર બાદ પકડાયેલા ગુજરાત પોલીસના અધિકારીઓ આ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. આ સમગ્ર કેસની તપાસ સીબીઆઈ દ્વારા કરવામાં આવી હતી. સીબીઆઈ કોર્ટમાં પૂર્વ આઈપીએસ ડી.જી વણઝારા અને ડીવાયએસપી એન.કે અમીને કોર્ટમાં ડિસ્ચાર્જ અરજી કરી હતી. આ અરજીને કોર્ટે માન્ય રાખી હતી. સીબીઆઈએ ડી.જી વણઝારાની ધરપકડ વખતે રાજ્ય સરકારની મંજૂરી લીધી ન હતી. આ સ્ટેટમેન્ટને સીબીઆઈ કોર્ટે માન્ય રાખ્યું હતું.