અકસ્માત વિમા યોજનામાં અરજીઓ અપૂરતા દસ્તાવેજોના લીધે નામંજૂરઃ વિધાનસભામાં

ગાંધીનગરઃ રાજ્યમાં ખેડૂત હિતલક્ષી કેટલીક યોજનાઓ સરકાર દ્વારા ચલાવવામાં આવે છે તેમાં ખેડૂત અકસ્માત વિમા યોજના પણ છે. ત્યારે આ યોજનામાં રાજકોટ જિલ્લામાં કરવામાં આવેલી અરજીઓમાંથી 31 અરજીઓ અપૂરતાં દસ્તાવેજોના કારણે નામંજૂર થતી હોવાનું જાણવા મળે છે.

કૃષિ રાજ્યપ્રધાન જયદ્રથસિંહજી પરમારે વિધાનસભામાં જણાવ્યું છે કે, ખેડૂતોના હિતને વરેલી રાજ્ય સરકારે ખાતેદાર ખેડૂતોને અકસ્માત સમયે સહાયરૂપ થવા માટે ખાતેદાર ખેડૂત અકસ્માત વિમા યોજના જાહેર કરી છે. જે હેઠળ મૃત્યુ કે કાયમી અપંગતાના કિસ્સામાં રૂપિયા બે લાખ અને એક આંખ અથવા એક અંગ ગુમાવવાના કિસ્સામાં રૂપિયા એક લાખની સહાય ચુકવવામાં આવે છે.  આ યોજના ખેડૂતો માટે સાચા અર્થમાં આશીર્વાદરૂપ બની છે.

આજે વિધાનસભા ખાતે રાજકોટ જિલ્લામાં ‘ખાતેદાર ખેડૂત અકસ્માત વિમા યોજના’ ની સહાયની અરજીઓના પ્રશ્નમાં પરમારે કહ્યું કે, રાજકોટ જિલ્લામાં આ યોજના હેઠળ કુલ ૧૩૨ અરજી આવી હતી તે પૈકી ૮૩ અરજીઓ મંજૂર કરાઇ છે, અને રૂ.૮૩ લાખની સહાય ચૂકવાઇ છે. ૧૮ અરજીઓ નામંજૂર કરાઇ છે, જ્યારે ૩૧ અરજીઓ અપૂરતા ડોક્યુમેન્ટના કારણે બાકી છે.

પરમારે ઉમેર્યું કે, રાજ્યના સંવેદનશીલ મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીએ ખેડૂતો માટેની આ યોજના હેઠળ ભૂતકાળમાં જે સહાય અપાતી હતી તે બમણી કરી દીધી છે.  જ્યારે યોજનાનો વ્યાપ વધારીને ખેડૂત ખાતેદારના કોઇપણ સંતાનને અકસ્માત સમયે આ યોજના હેઠળ આવરી લેવાય છે. આ યોજના હેઠળ અકસ્માતના કારણે મૃત્યુ કે કાયમી અપંગતા બે આંખ કે બે અંગ અથવા બે હાથ કે બે પગ ગુમાવવાના કિસ્સામાં કે એક આંખ અને એક અંગ ગુમાવવાના કિસ્સામાં ૧૦૦ ટકા લેખે રૂપિયા બે લાખની સહાય, જ્યારે અકસ્માતના કારણે એક આંખ અથવા એક અંગ ગુમાવવાના કિસ્સામાં ૫૦ ટકા લેખે રૂપિયા એક લાખની સહાય ચુકવવામાં આવે છે.

યોજનામાં ખાતેદાર ખેડૂતના પ્રથમ હયાત સંતાન (પુત્ર/પુત્રી) ના બદલે ખાતેદાર ખેડૂતના કોઈપણ સંતાનોને લાભ આપવામાં આવે છે. વ્યક્તિગત કે સંયુક્ત ખાતા ધરાવતા તમામ ખાતેદાર ખેડૂત એટલે કે મહેસુલ રેકોર્ડ અનુસાર ૭/૧૨, ૮-અ અને હક પત્રક-૬માં પાકી નોંધ પ્રમાણિત થયેલ હોય તેવા તમામ ખાતેદાર ખેડૂતોને આ યોજના હેઠળ આવરી લેવાયેલ છે.