જૂનાગઢમાં દેશની 100થી વધુ વાવનું ટેકનોલોજીથી સર્જાયું પ્રથમવાર જીવંત પ્રદર્શન

જૂનાગઢ- જૂનાગઢના સરદાર બાગમાં જૂનાગઢ મ્યુઝિયમના ઓપેરા હાઉસમાં આજે ટેકનોલોજીના સહારે એવાં દ્રશ્યો  સર્જાયાં હતાં જેમાં પશ્ચિમ ભારતની સૌથી ભવ્ય અને ૧૦૦ થી વધુ કલાત્મક વાવ અને જલમંદિરોને તસ્વીરના માધ્યમથી નિહાળવાનો લહાવો જૂનાગઢવાસીઓને મળ્યો છે. આજે સવારે સરદાર બાગ ઓપેરા હાઉસ ખાતે કલેકટર શ્રી સૌરભ પારધી અને અન્ય મહાનુભાવોએ આ પ્રદર્શનને ખુલ્લુ મૂક્યું હતું.

આપણું જૂનાગઢનાં સંયોગથી પશ્વિમ ભારતની વાવો તથા જળાશયો ગુજરાત અને રાજસ્થાનના એક અનન્ય સ્થાપત્ય સ્વરૂપ પ્રતિ દર્શકોનું ધ્યાન આકર્ષિત કરે તેવી તસ્વીરોનું ગોઠવાયેલ પ્રદર્શનમાં મુખ્યત્વે પાટણની રાણકીવાવ, અડાલજની હુડા દેવીની વાવ, તે ઉપરાંત ગુજરાતમાં આવેલી સમૃધ્ધ કોતરકામ કરેલ તેમજ ખૂબ જ સુંદર શિલ્પ ધરાવતી પાણીની વાવ, જળાશયો, વાવો, તળાવો, અને પાણીનાં કુંડ સહિતનાં જલમંદીરો આપણો સૈાનો અમુલ્ય વારસા સ્વરૂપે જોવા મળે છે. જૂનાગઢનાં સ્થાપત્યો વિષેની માહિતી તેમજ તેનું મહત્વ અંગે ડો. ખાચર અને માનવ જીવનમાં જળસંચયની અગત્યતા ગઇ કાલ અને આજ વિષયે ડો. એચ.ડી.રાંક વિષય સંબંધિત વ્યાખ્યાન આપ્યુ હતુ. અમેરિકન ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ડિયન સ્ટડીઝ દ્વારા આયોજિત કરાયેલા આ તસવીર પ્રદર્શનનો હેતુ પુરાતન સમયમાં જળની સમસ્યા ઉકેલવા માટે બનાવવામાં આવેલી વાવ અને તેની પાછળની કલાત્મક કારીગીરી અને ઉપરાંત આ વાવનો ફરી જળ મંદિર તરીકે ઉપયોગ કરી શકાય તે માટે નવી પેઢીમાં જાગૃતિ આવે તે અંગે શિક્ષિત કરવાનો છે.

વિશેષમાં આ પ્રદર્શનમાં તસવીર પ્રદર્શન ઉપરાંત એક રૂમમાં થ્રીડી થી પણ આધુનિક ટેકનોલોજી દ્વારા લોકોને વર્ચ્યુઅલ રિયાલિટી દ્વારા લોકોને વોક થ્રુ કરાવી ને પાટણની રાણકીવાવના દર્શન કરાવવામાં આવે છે, ખાસ પ્રકારના ચશ્મા પહેરીને આ વાવને નિહાળવામાં આવે છે ત્યારે વ્યક્તિ જાણે કે આકાશમાં ઉડીને રાણકીવાવને નિહાળતા હોય તેવો અહેસાસ થાય છે અને આધુનિક ટેકનોલોજી થી થતો આભાસ આબેહૂબ જેવો લાગે છે. કલેકટર પારધી સહિતના મહાનુભાવોએ આજે આ આધુનિક ટેકનોલોજીથી રાણકીવાવ ને નિહાળી વર્ચ્યુઅલ ટેકનોલોજીની પ્રશંસા કરી હતી અને આયોજકોને જૂનાગઢવાસીઓ માટે કરાયેલી આ વ્યવસ્થા અંગે અભિનંદન આપ્યા હતા.