રાજ્યના 5 હજાર ગામોમાં એકતા રથ સાથેની એકતા યાત્રા યોજાશેઃ સીએમ રુપાણી

ગાંધીનગરઃ અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલનું વર્લ્ડ ક્લાસ અને ઉંચામાં ઉંચુ સ્ટેચ્યુ 31 ઓક્ટોબરના રોજ વડાપ્રધાન મોદી લોકાર્પિત કરે તે પહેલા રાજ્યના 5 હજાર ગામોમાં એકતા રથ સાથેની એકતા યાત્રા 19 થી 29 ઓક્ટોબર દરમિયાન યોજાશે.આ યાત્રામાં સરદાર પટેલના જીવન કવન અને રાષ્ટ્ર માટે તેમણે આપેલા મહત્વપૂર્ણ યોગદાનને એલઈડી સ્ક્રીન પર પ્રસ્તુત કરવામાં આવશે. આ યાત્રાનો બીજો તબક્કો 15 થી 25 નવેમ્બર દરમ્યાન રાજ્યના 5 હજાર ગામોમાં યોજાશે..

મુખ્યપ્રધાન રૂપાણી દેશના અલગ અલગ રાજ્યોના નાગરિકો અને મહાનુભાવોને સ્ટેચ્યુ ઓફ યુનિટી લોકાર્પણમાં અને મુલાકાત લેવા નિમંત્રણ આપવાની શ્રૃંખલામાં ઉત્તર પ્રદેશના બે દિવસીય પ્રવાસે છે. તેમણે લખનઉમાં યુ.પી અને ગુજરાતી સમાજના પરિવારો સાથે સંવાદ ગોષ્ઠી કરી હતી. મુખ્યપ્રધાને જણાવ્યું કે આ પ્રતિમા નિર્માણના સ્થળ સહિત સમગ્ર પરિસરને પ્રવાસન ધામ સાથે એક ભારત શ્રેષ્ઠ ભારતનું  રાષ્ટ્ર ભક્તિ ધામ બનશે.

અહીં દેશ ના 6 લાખ ગામોની માટી લાવીને એક લેન્ડ સ્કેપ ઉભું કરવાની ભૂમિકા આપતા કહ્યું કે ગુજરાતના સપૂત વલ્લભભાઈને વિશ્વ ગૌરવ બીજા એક સપૂત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અપાવ્યું છે તે જોવા આવવા ગુજરાતી પરિવારો ને આગ્રહ કર્યો હતો. મુખ્યપ્રધાને જણાવ્યું કે આ સ્થળે વેલી ઓફ ફ્લાવર, બોટિંગ, થ્રી સ્ટાર હોટલ ફૂડ કોર્ટ જેવી વ્યવસ્થા વિક્સાવવામાં આવશે..